રફીક એફ. ચાકી : કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 17 : દેશભરમાં છેલ્લાં કેટલાંક
વર્ષોમાં ગધેડાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, પશુગણનાના આંકડા મુજબ અંદાજે
2012માં દેશમાં અંદાજે ત્રણ લાખથી
વધુ ગધેડા નોંધાયા હતા, જ્યારે 2019 સુધીમાં
આ સંખ્યા ઘટીને અંદાજે એક લાખ જેટલી રહી હોવાનું જાણવા મળે છે. ગુજરાત રાજ્યમાં પણ
ગધેડાની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. અંદાજે 2012માં રાજ્યમાં અંદાજે 38 હજાર જેટલા ગધેડા હતા, જ્યારે 2019માં તે ઘટીને આશરે 11 હજાર જેટલા રહ્યા હોવાનું
જાણવા મળે છે. કચ્છ જિલ્લામાં પણ ગધેડાની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી રહ્યો
છે. ગધેડાની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગફાશિંજ્ઞક્ષફહ કશદયતાજ્ઞિંભસ
ખશતતશજ્ઞક્ષ (ગકખ) યોજના અંતર્ગત ગધેડા ઉછેરને પ્રોત્સાહન આપવા મહત્ત્વપૂર્ણ પહેલ કરી
છે. આ યોજના હેઠળ ગધેડા ઉછેર માટે કુલ પ્રોજેક્ટ ખર્ચ પર 50 ટકા સુધી મૂડી સહાય આપવામાં
આવે છે, જેમાં મહત્તમ સહાય રકમ 50 લાખ રૂપિયા
સુધી નક્કી કરવામાં આવી છે. ન્યૂનતમ એકમ તરીકે 50 માદા અને 5ાંચ નર
ગધેડાનો સમાવેશ ફરજિયાત રાખવામાં આવ્યો છે. ગધેડાની જાતિ સંરક્ષણ અને સંવર્ધન માટે
આ યોજના મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગધેડાની સંખ્યામાં
સતત ઘટાડો થતો જોવા મળતાં તેનાં સંવર્ધન અને ઉછેરને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત ઊભી
થઈ છે. સરકાર દ્વારા આપવામાં આવતી સહાય તથા લોકોનાં પ્રોત્સાહનથી ગધેડા ઉછેર ક્ષેત્રને
ભવિષ્યમાં નવી દિશા મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક સમય એવો હતો, જ્યારે
કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગધેડાનું વિશેષ મહત્ત્વ હતું. ભુજ તાલુકાના કુકમા,
કોટડા પંથક તેમજ આસપાસના ગામોમાં ગધેડાનો ઉપયોગ ઈંટ-લાકડા, ખેતીનાં કામ, પાણી તેમજ
માલસામાન લઈ જવા માટે વ્યાપકપણે થતો હતો. ઘણા મજૂર પરિવારો માટે ગધેડા રોજગાર અને જીવનનિર્વાહનું
મહત્ત્વપૂર્ણ સાધન ગણાતા હતા. પરંતુ સમય બદલાતાં
આધુનિક વાહનો, ટ્રેક્ટર, ટેમ્પો અને અન્ય મશીનરીના વધતા ઉપયોગને કારણે ગધેડાનો ઉપયોગ
ધીમે-ધીમે ઘટતો ગયો છે. પરિણામે આજે ગામડાઓમાં ગધેડા ભાગ્યે જ જોવા મળે છે. તેમ છતાં
ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક-ક્યાંક ગધેડા દ્વારા ગાડામાં લીલો ઘાસચારો તેમજ અન્ય સામાન
લઈ જવાની કામગીરી આજે પણ ભાગ્યે જ જોવા મળે છે. ગધેડાની સંખ્યા ઘટતાં આવાં દૃશ્યો હવે
પહેલાંની તુલનામાં બહુ ઓછાં બન્યાં છે. આ સાથે ગધેડીનું દૂધ પણ કેટલીક જગ્યાએ ખાસ માંગ
ધરાવે છે, પરંતુ ગધેડાની સંખ્યા ઘટતાં આજના સમયમાં તેને મેળવવું ખૂબ મુશ્કેલ બન્યું
છે. ગ્રામ્ય વિસ્તારોમાં એવી માન્યતા છે કે, નાના બાળકોમાં લાંબા સમયથી ચાલતી ઉધરસ
(કચ્છી ભાષામાં ખટિયો કહેવાય છે.) તથા શ્વાસ સંબંધિત તકલીફોમાં ગધેડીનું દૂધ ફાયદાકારક
માનવામાં આવે છે, તેવું વડીલો કહે છે, દાદીમાના નુસખાઓ તરીકે પહેલાં પણ અને આજે આધુનિક
સમયમાં પણ લોકો પીવડાવતા હોય છે. માલધારીઓ કહે છે કે, ગધેડી જન્મ આપ્યા પછી ત્રણ જ
મહિના દૂધ આપે છે, જેથી આની પ્રજાતિ ઓછી છે, જેથી દૂધ મેળવવું મુશ્કેલ બને છે. સામાન્ય
રીતે ગધેડીનું દૂધ 50થી 100 મિલી જેટલું જ આપવામાં આવે
છે અને તેની કિંમત પણ અન્ય દૂધની તુલનામાં વધારે હોય છે.