ભુજ, તા. 18 : પહેલગામના આતંકી હુમલા બાદ
ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાને નાબૂદ કરવા ચલાવેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુદળના
જાંબાઝ પાઈલટોને મોટી સફળતા મળી છે ત્યારે ભવિષ્યમાં આવા ઓપરેશનની કમાન સંભવત: કચ્છી
કેપ્ટન પાસે પણ આવી શકે છે. ફલાઇંગ ઓફિસર તરીકે જોડાનારા કદાચ આ પહેલા કચ્છી હશે. હા, આ વાત સંભવ છે કેમ કે અબડાસાના નાનકડા એવા મોથાળા
ગામના 24 વર્ષીય યુવાન ભવ્ય પ્રકાશ નાગડા
(શાહ)ની થોડા સમય પહેલાં ભારતીય વાયુદળમાં નિયુક્તિ થઇ છે અને અદ્યતન લડાકુ વિમાનની
કમાન સોંપવામાં આવી છે. ફલાઇંગ કેડેટ ભવ્ય શાહ મૂળ મોથાળા ગામના છે અને તેમના પિતા
પ્રકાશભાઇ અત્યારે ચોકલેટ-બિસ્કિટના મોટા વેપારી છે. પૂનામાં કારોબાર ચલાવે છે અને
તેઓ વર્ષમાં એક વખત વતન મોથાળા જરૂર આવે છે. મોથાળા જૈન મહાજનના ટ્રસ્ટી રમેશભાઇ શાહે
જ્ઞાતિના યુવાનની સિદ્ધિ અંગે વિગતો આપી હતી. ભવ્યએ પૂનામાં શિક્ષણ લઇને પૂનામાં થોડા
સમય માટે ખાનગી નોકરી કરી હતી, પણ લડાકુ
વિમાન ઉડાવવાની મંજીલ આખરે પ્રાપ્ત કરતાં ભારતીય વાયુદળની તમામ કસોટી પાર કરી લેતાં
કેપ્ટન તરીકે પસંદગી થઇ છે. પૂનામાં નેશનલ કેડેટ કોર્પ્સના એર સ્ક્વોડ્રનમાં જોડાયા
પછી તેમની આકાંક્ષાઓએ નિર્ણાયક વળાંક લીધો. યુનિફોર્મ પહેરવા, શિબિરોમાં હાજરી આપવા અને માઇક્રોલાઇટ એરક્રાફ્ટ ઉડાવવાથી તેમની મહત્ત્વાકાંક્ષાઓમાં
સ્પષ્ટતા આવી. `તે સમયે રાષ્ટ્રની
સેવા કરવાનું મારું સ્વપ્ન ખરેખર સાકાર થયું' તેને પણ ભવ્યએ યાદ કર્યું હતું. સફળતાનો માર્ગ સરળ નહોતો. બહુવિધ સેવાઓ,
પસંદગી બોર્ડના પ્રયાસો અને વર્ષોની તૈયારીએ તેમની ધીરજ અને સંકલ્પની
કસોટી કરી, છતાં એપ્રિલ 2024માં જ્યારે તેઓ ઓફિસર્સ ટ્રાનિંગ
એકેડેમી, ચેન્નાઈમાં જોડાયા ત્યારે દ્રઢતા રંગ લાવી હતી.
આજે વિધિવત વાયુદળનો ગણવેશ પહેરી લડાકુ વિમાન ઉડાવવાની શરૂઆત પણ કરી લીધી છે.