મુંદરા, તા. 18 : ઝડપી વિકસતા મુંદરામાં મનોરંજનની
સવલતો ખૂટતી હોવાની વાત વચ્ચે અહીંના જાણીતા રિયલ એસ્ટેટ ગ્રુપ ક્રિષ્ના ગ્રુપ દ્વારા
નવું મલ્ટિપ્લેક્સ થિયેટર સાહસ `કોનપ્લેક્સ
સિનેમા' ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે
ગુજરાતી સિનેમા જગતમાં નવા વિક્રમો સર્જનારી `લાલો-શ્રીકૃષ્ણ સદા સહાયતે' ફિલ્મની સ્ટારકાસ્ટ ખાસ ઉપસ્થિત રહી હતી અને
નવાં થિયેટર તેમજ આ કલાકારોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઊમટયા હતા. બુધવારે સવારે
આમંત્રિતો માટે `લાલો' ફિલ્મનો ખાસ પ્રીમિયર શો યોજાયો હતો,
જેમાં ખાસ મહેમાનો, પ્રસિદ્ધ લોકસાહિત્યકાર કીર્તિદાન
ગઢવી સહિત રાજકીય, સામાજિક ક્ષેત્રના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત
રહ્યા હતા. લાલો ફિલ્મના કલાકારો અને એમની ટીમના અંકિત સખિયા, શ્રૃહદ ગોસ્વામી, રિવા રાચ્છ, અજય પઢિયાર વગેરે લાંબા સમયથી મળવા આતુર લોકોને મળ્યા હતા. આ કલાકારોને મળવા
સિનેમાની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઊમટી હતી. - અમારી હૂંડી સ્વીકારાઈ : શ્રૃહદ
: `લાલો'ના મુખ્ય કલાકાર શ્રૃહદ ગોસ્વામીએ ફિલ્મ વિશે
પત્રકારોના પ્રશ્નો પર કહ્યું કે, અમે લાલો ફિલ્મ નાણાં કમાવાના
ઉદ્દેશથી બનાવી જ નહોતી. હા, મહેનત ગણી હતી. દર્શકોને કાંઈક નવું આપવાનું હતું, પણ
તેમાં પ્રભુનાં આશીર્વાદ સમાયેલાં હતાં અને અમારી હૂંડી સ્વીકારાઈ છે. એ આપે છે,
ત્યારે દિલ ખોલીને આપે છે. કોનપ્લેક્સ નિર્માણ કરનારા ક્રિષ્ના ગ્રુપ
દ્વારા લાલો ફિલ્મના કલાકારોનું સન્માન કરાયું હતું. મુંદરા- ગુંદાલા રોડ પર આવેલા
આરબીસી સ્ક્વેર ખાતે નિર્માણ પામેલા આધુનિક સુવિધાઓ સાથેના કોનપ્લેક્સ સિનેમાના ઉદઘાટન
પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા ગ્રુપના ડાયરેક્ટર ભવનભાઈ શાહે કહ્યું હતું કે,
આ થિયેટરમાં અત્યાધુનિક ટેક્નોલોજી સાથેની ક્રીન, સાઉન્ડ તેમજ આરામદાયક સાટિંગ વ્યવસ્થા
છે. ખાસ વિશેષતા એ છે કે, કચ્છમાં પ્રથમ વખત કપલ દર્શકો માટે
કપલ લાઉન્જની વ્યવસ્થા ગોઠવાઈ છે. - માત્ર મુંદરા નહીં,
કચ્છનું ઉત્તમ સ્થળ : વધુ માહિતી આપતા ડાયરેક્ટર્સ છત્રાસિંહ જીવણજી જાડેજા, રઘુવીરાસિંહ જાડેજા અને માણેક ગઢવીએ કહ્યું
કે, મુંદરામાં આવા શ્રેષ્ઠ સિનેપ્લેક્સની જરૂરિયાત હતી અને અમે
વિચાર્યું કે માત્ર મુંદરા જ નહીં, કચ્છનું એક ઉત્તમ મનોરંજન
સ્થળ મુંદરામાં બને અને આનંદ એ વાતનો છે કે, નિયત સમયમાં તેનું
નિર્માણ પણ કરી શક્યા છીએ. આ સિનેપ્લેક્સમાં ત્રણ ઓડી છે અને કચ્છની સૌથી અત્યાધુનિક
સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતી સિનેમામાં
100 કરોડની ક્લબમાં સ્થાન પામનારી
`લાલો'
ફિલ્મના કલાકાર કચ્છમાં પહેલી વખત આવી રહ્યા છે. મુંદરાના લોકોને હવે
સારી મનોરંજન સુવિધા માટે ભુજ કે ગાંધીધામ બાજુ નહીં જવું પડે. આ સાથે ક્રિષ્ના ગ્રુપના
નવા રેસિડેન્સિયલ સાહસ `કેશવમ હોમ્સ'ની અને આગામી સમયમાં આ સંકુલમાં નિર્માણ પામનારાં
સ્વામિનારાયણ મંદિરની પણ જાણકારી આપી હતી.