ગાંધીધામ, તા. 21 : કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસીએશન ગાંધીધામ દ્વારા ક્રિકેટની રમતમાં કચ્છના યુવાનો આગળ વધે તે હેતુથી વ્યાપક પ્રયાસો આદરવામાં આવ્યા છે. તેની ફળશ્રુતિના ભાગરૂપે કે.ડી.આર.સી.એ.ના બે ખેલાડી સતત બીજા વર્ષે નેશનલ ક્રિકેટ એકેડેમીના કેમ્પ માટે પસંદગી પામ્યા છે. ભારતીય ટીમમાં પસંદગી પામી શ્રેષ્ઠ દેખાવ કરવાની નેમ સાથે આ બન્ને ખેલાડી તાલીમ મેળવેશે.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અનિલ કુંબલે નેશનલ ક્રિકેટ અકાદમીના અધ્યક્ષ છે. અકાદમી દ્વારા સ્ટેટના વિવિધ ફોર્મેટની મેચમાં સારો દેખાવ કરતા ખેલાડીઓની કેમ્પ માટે પસંદગી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર ડિસ્ટ્રીક્ટના અનેક ખેલાડીઓની આ કેમ્પ માટે પસંદગી થઈ છે, જેમાં કે.ડી.આર.સી.એ.ના સૌરાષ્ટ્રની વિવિધ ફોર્મેટમાં રમતા ખેલાડીઓ આશાબા વાઘેલાની ત્રીજી વખત અને હરવંશ સૈનીની બીજી વખત પસંદગી કરવામાં આવી છે. આશાબાએ અંડર 19 અને અંડર 23ની કેટેગરીમાં કરેલો સારો દેખાવ અને હરવંશ સૈનીએ અંડર 19 અને અંડર 20ની રાજ્ય સ્તરની મેચમાં સૌથી વધુ રનનાં પ્રદર્શન માટે તેમની પસંદગી થઈ છે. કે.ડી.આર.સી.એ.ના પ્રમુખ ચંદ્રશેખર અયાચી અને માર્ગદર્શક નકુલ અયાચીના પ્રયાસોથી ડીપીએસ સ્કૂલનાં મેદાનમાં ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવા માટે ખેલાડીઓને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલાઓ-યુવતીઓ ક્રિકેટ ક્ષેત્રે આગળ આવે તે માટે પણ વ્યાપક પ્રયાસ આદર્યા? છે અને તેના સારાં પરિણામ પણ મળ્યાં છે. આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની વિવિધ ફોર્મેટની મેચોમાં સાત યુવતી રમે છે. યુવતીઓ સહિત એસોસીએશનના 20 ખેલાડી રાજ્ય સ્તરે શાનદાર પ્રદર્શન કરીને સારો દેખાવ કરી રહી છે. એન.સી.એ.ના કેમ્પમાં અગાઉ વર્ષ 2020, 2021 બાદ હવે ત્રીજી વખત 2024માં પસંદગી પામનારા આશાબા વાઘેલાએ ભારતીય ટીમમાં સ્થાન પામવાનું ધ્યેય હોવાનું જણાવ્યું હતું અને 25 દિવસની તાલીમમાં વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની નેમ વ્યક્ત કરી હતી. ક્રિકેટના ક્ષેત્રમાં 13 વર્ષની ઉંમરે જ કારકિર્દી શરૂ કરી, ત્યારે જ પ્રથમ વર્ષમાં જ એન.સી.એ.માં પસંદગી થઈ હતી. તેમને કાનપુર ખાતે તાલીમ આપવામાં આવશે. રાજ્ય સ્તરની મેચમાં વન-ડેમાં 200 અને ટેસ્ટ મેચમાં 400 રન કરનારા હરવંશ સૈનીએ પણ ભારતીય ટીમમાં રમવાની મહેચ્છા હોવાનું જણાવી છ વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવનાનું શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતું. એન.સી.એ.ના કેમ્પમાં તેમની બીજી વખત પસંદગી થઈ હોવાનું જણાવી આ વખતે રાષ્ટ્રીય સ્તરની ટીમમાં પસંદગી પામવાના ધ્યેય સાથે સારો દેખાવ કરવાની નેમ વ્યક્ત કરી હતી. તેમને પોંડિચેરી ખાતેના કેમ્પમાં તાલીમ આપવામાં આવશે. કે.ડી.આર.સી.એ.ના સેક્રેટરી શરદ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ચાર ખેલાડીની પસંદગી થઈ હતી. આમ સતત બીજા વર્ષે પણ એસોસીએશનના ખેલાડીઓને એન.સી.એ.માં સ્થાન મળ્યું છે, ત્યારે કચ્છના ખેલાડીઓ હવે રાષ્ટ્રીય કક્ષાની મેચમાં પણ શ્રેષ્ઠ રમતની પસંદગી કરશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.