ગાંધીધામ, તા. 2 : અંજારમાં રહેનારી એક વ્યક્તિ પાસેથી રૂા. 24,40,000 લઈ બાદમાં તે રકમ પરત ન આપતાં એક શખ્સને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂા. 2પ લાખના દંડનો ધાક બેસાડતો ચુકાદો અંજારની કોર્ટએ આપ્યો હતો. અંજાર પોલીસ મથકે અનિલ રતિલાલ પટેલે જગદીશ અરજણ પટેલ (ભગત) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી ફરિયાદીના પિતાના મિત્ર અને જ્ઞાતિભાઈ થાય છે. આરોપીએ પોતાના વેલસ્પન કંપનીમાં વાહનો ભાડેથી ચાલતા હોઈ માસિક આવક સારી છે, પરંતુ પૈસાની જરૂરિયાત હોવાથી ફરિયાદી પાસે પૈસાની માગણી કરી હતી અને કંપનીમાં આવતા વાહનોના ભાડામાંથી પ0 ટકા રકમ આપવાની લોભામણી લાલચ આપી હતી. ફરિયાદીએ આ શખ્સને જુદી-જુદી રીતે રૂા. 24,40,000 ચૂકવી આપ્યા હતા. બાદમાં આ શખ્સના કંપનીમાં કોઈ વાહન ન આવતા હોવાનું બહાર આવ્યું હતું તથા આ શખ્સે ફરિયાદીને પૈસા પરત આપ્યા ન હતા. જે અંગે પોલીસ મથકે 2017માં ફરિયાદ થયા બાદ પોલીસે આરોપીની અટક કરી હતી. આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાની કોર્ટમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફથી સાત સાહેદોના મૌખિક પુરાવા તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરી મૌખિક, લેખિત દલીલો રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલો સાંભળી બાદમાં ન્યાયાધીશ જે. એસ. પરમારે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને આ જગદીશ અરજણ પટેલ (ભગત)ને ત્રણ વર્ષની સાદી કેદ તથા રૂા. 2પ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ભરવામાં કસુરવાન ઠરે તો વધુ એક વર્ષની સાદી કેદનો ચુકાદો આપવામાં આવ્યો હતો તેમજ દંડની આ રકમ ફરિયાદીને વળતર રૂપે ચૂકવી આપવા આદેશ કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે ધારાશાત્રી એવા એ.પી.પી. એ. એન. પંડયાએ હાજર રહી તર્કબદ્ધ રીતે દલીલો કરી હતી.