ભુજ, તા. 15 : ઐતિહાસિક
ભુજ શહેરમાં આવતા પ્રવાસીઓ અને શહેરીજનોની સુવિધા માટે નગરપાલિકા દ્વારા નવા સાત સ્થળોએ
આધુનિક સુવિધાસભર પે એન્ડ યુઝ બનાવવા ઉપરાંત જૂના તમામમાં ખુટતી કળીઓ પૂર્ણ કરવા ઉપરાંત
નધણિયાતા તમામ ખુલ્લા બોર બંધ કરવા તેમજ લોકલક્ષી કામોને મંજુરીની મહોર મરાઈ હતી. ભુજ
સુધરાઈ ખાતે આજે કારોબારી સમિતિના બેઠક ચેરમેન મહિદીપસિંહ જાડેજાની અધયક્ષતમાં મળી
હતી. જેમાં ખાસ કરીને ભુજ આવતા પ્રવાસીઓ તથા સ્થાનિકોની મુશ્કેલીઓને લઈ ત્રિકોણબાગ
પાસે, સ્ટેશન રોડ ખાતે, મહાદેવ ગેટ પાસે,
સહયોગ હોલ પાસે, આર.ટી.ઓ. સર્કલ નજીક, ઓપન એર થિયેટર પાસે તથા રેલવે સ્ટેશન પાસે આધુનિક સુવિધાથી સજ્જ પે એન્ડ યુઝ
નિર્માણ કરાશે. આ ઉપરાંત શહેરના તમામ શૌચાલયો, જાજરૂમાં ખુટતી
કડીઓ પૂર્ણ કરવા સાથે રિપેર કરાશે. તો તાજેતરમાં જ એક બનાવમાં સીમમાં ખુલ્લા બોરમાં
યુવાન પડી જતાં મોતને ભેરખે હોવાની બાબતની ગંભીરતા લઈ આવા તમામ ખુલ્લા બોર સુધરાઈ દ્વારા
બંધ કરવા નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ભુજમાં વિવિધ સ્થળે પાણી, ગટરની લાઈનોના કામ તેમજ સીસી રોડ, ઈન્ટર લોક,
ડામરના માર્ગોના કામ, નવી લાઈટો તથા તેના જોડાણ
સહિતના કામોને મંજૂરી અપાઈ હતી. બેઠકમાં સમિતિના સભ્યો, ઉ.પ્ર.
ઘનશ્યામ ઠક્કર, ચીફ ઓફિસર અનિલ જાધવ, શાખાના
જવાબદારો વિ. ઉપસ્થિત રહ્યા હતા.