ગાંધીધામ, તા. 2 : ભારાપરમાં
આવેલી કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. ઘણા લાંબા સમયથી આ બાબતે
પગલાં ભરવાની માંગ થઈ રહી છે,
તે વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બાદ
હવે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કિડાણા-ભારાપર હાજલ દાદા જાગીર સેવકગણ
દ્વારા જિલ્લા કલેક્ટર આનંદ પટેલને રૂબરૂ મળીને ભારાપરમાં આવેલી સાલ કંપની દ્વારા
ધ્વનિ તેમજ હવામાં વ્યાપક પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, વિવિધ જગ્યાઓએ રજૂઆતો પછી કંપની દ્વારા મૌખિક રીતે પ્લાન્ટ અન્યત્ર
ખસેડવાની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ આ મામલામાં અત્યાર સુધીમાં કોઈ પગલાં
લેવામાં આવ્યાં નથી. તદુપરાંત નવો રાલિંગ પ્લાન્ટ ઊભો કરવાની તજવીજ શરૂ કરવામાં
આવી છે, જેના કારણે ગુરુગાદી અને તેની પ્રાચીન અસ્મિતા
જોખમાઈ રહી છે. ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ રીતે આજુબાજુની જમીન મેળવી લેવાય છે, તે પણ એક તપાસનો વિષય છે, તેમ જણાવીને આ કંપનીનાં
પ્રદૂષણની સમસ્યાના મામલામાં કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો કોઈ ઘર્ષણ થશે,
તો તેની જવાબદારી તંત્રની રહેશે, તેવી ચીમકી
પત્રમાં પાઠવાઈ હતી. કલેક્ટરને રજૂઆત કરતી વેળાએ કચ્છ પાટણ આહીર સમાજ પ્રમુખ
તેજાભાઈ આહીર, પડાણા વઈ મંત્રી ગાવિંદભાઈ આહીર, ભુવડ વઇ પ્રમુખ રાઘુભાઈ આહીર, ચેતનભાઇ આહીર, ધનાભાઈ આહીર, લખુભાઇ આહીર અને આહીર સેના ગુજરાત તેમજ
અન્ય અગ્રણીઓ જોડાયા હતા.