નવી દિલ્હી, તા. 10 : ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન સિંધુ જળ સમજૂતીને લઈને ગમે તેટલા હવાતિયાં મારી લે, તેને પાણીનું એક ટીપું પણ મળશે નહીં. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલે
જણાવ્યું હતું કે, સિંધુ કરાર અત્યારે પણ સ્થગિત સ્થિતિમાં જ છે અને આગામી દિવસોમાં
પણ એ સુનિશ્ચિત કરવામાં આવશે કે, પાકને પાણી મળે નહીં. એક સવાલના
જવાબમાં પાટિલે કહ્યું હતું કે, સિંધુના પાણીને અન્યત્ર વાળવાની યોજના પર ગૃહમંત્રી અમિત શાહ ખુદ દેખરેખ રાખી
રહ્યા છે અને 1960થી અમલી બનેલા
સિંધુ જળ કરારને હવે એક કોરાણે મૂકી દેવામાં આવ્યો છે. પાટિલે જણાવ્યું હતું કે, આ સમજૂતી
હજી પણ સ્થગિત જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી આ ઐતિહાસિક નિર્ણય લીધો છે ત્યારથી
સરકારના એ જ પ્રયાસ છે કે, પાકિસ્તાનને પાણીનું એઁક ટીપું પણ
મળે નહીં. હું સંપૂર્ણ ખાતરી સાથે કહું છું
કે, અમારું કામ નિશ્ચિત મહેતલ મુજબ આગળ વધી રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ પાકને ભારત
તરફથી પાણી મળશે નહીં. ઉલ્લેખનીય છે કે,
ગયા વર્ષે પહેલગામમાં હીચકારા આતંકી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા ખુલ્યા
બાદ ભારતે સિંધુ જળ કરારને સ્થગિત કરી નાખ્યો હતો. હવે ભારતે ચિનાબના પાણીને ડાયવર્ટ
કરવાની પરિયોજના બનાવી છે, જે હેઠળ ચિનાબનું લગભગ 1.9 મિલિયન એકર ફૂટ પાણી કેનાલ
મારફત બિયાસ નદીમાં વાળવામાં આવશે.