નવી દિલ્હી, તા.5 : દેશની
સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોનું સંચાલન ભારે કમજોર પડવા માંડયું છે. સળંગ ચોઢથા
દિવસે એક હજારથી વધુ ઉડાનો રદ્દ થતાં મોટી સંખ્યામાં યાત્રી સમુદાય પરેશાન થઈ ગયો
હતો. ઈન્ડિગોના સીઈઓએ યાત્રીઓની માફી માગી હતી. એરલાઈને સત્તાવાર નિવેદન જારી
કરતાં કહ્યું હતું કે, આઠમી ડિસેમ્બરથી ઉડાનોમાં કાપ
મુકાશે. હજુ આવતીકાલે શનિવારે પણ એક હજાર જેટલી ઉડાનો રદ્દ થશે. એ જોતાં એરપોર્ટ ન
જવા યાત્રીઓને જણાવાયું હતું. ઉડાનો રદ્દ થતાં હાલાકી વેઠનાર યાત્રીઓને રાહત આપવા
ભારતીય રેલ્વેએ 37 ટ્રેનોમાં કુલ્લ 116 વધારાના
ડબ્બા જોડીને દોડાવવાનો મોટો નિર્ણય લીધો હતો. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક
(ડીજીસીએ) એ એક નોટિસ જારી કરીને કહ્યું હતું કે ઘણી ઉડાનના પરિચાલનમાં સતત આવી
રહેલી બાધા અને એરલાઈન્સ તરફથી મળેલા આવેદનને ધ્યાને લઈને `સાપ્તાહિક અવકાશ'ના નિર્ણયને તત્કાળ
પ્રભાવથી પરત ખેંચાયો છે. અગાઉ ડીજીસીએએ તમામ એરલાઈન્સને નિર્દેશ જારી કરતા કહ્યું
હતું કે ફલાઈટ ક્રૂ માટે સપ્તાહમાં વધુ આરામનો સમય નિર્ધારીત કરવામાં આવે.
રોસ્ટરમાં પાયલોટ અને ક્રૂ માટે નાઈટ શિફ્ટ પહેલા છ દિવસ હતી જે ઘટાડીને બે દિવસ
કરાઈ હતી જેના કારણે ક્રૂ સમય ઉપર પહોંચી શક્યા નહોતા. નાગરીક ઉડ્ડયન મંત્રાલયે
ભારે અવ્યવસ્થાને દૂર કરવા અને સેવાઓને સ્થિર કરતા એરલાઈન્સ માટે તત્કાળ લાગુ
થનારી કાર્યવાહી શરૂ કરી હતી. તેમજ ખાસ કરીને ઈન્ડિગો માટે આદેશ જારી કર્યા હતા.
જેમાં યાત્રીઓની સુવિધાનું પણ ધ્યાન રાખવા કહેવાયું હતું. સરકાર તરફથી કહેવામાં
આવ્યું હતું કે ઈન્ડિગોના સંચાલનમાં બાધાની જાણકારી મેળવવા અને જવાબદારી નક્કી
કરવા ઉચ્ચ સ્તરની તપાસનો આદેશ અપાયો છે. આ દરમિયાન ઈન્ડિગોએ એક સત્તાવાર નિવેદનમાં
કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં તેનું નેટવર્ક ગંભીર રીતે બાધિત થયું છે અને
ગ્રાહકો પાસે માફી માગી છે. એરલાઈન્સે કહ્યું હતું કે, 10 ફેબ્રુઆરી
2026 સુધી જ સંચાલન પુરી રીતે સ્થિર થવાની આશા છે. એરલાઈને
સ્વીકાર્યું હતું કે એફડીટીએલ નિયમોના બીજા તબક્કાને લાગુ કરવાની ગણતરીમાં ભૂલના
કારણે વ્યાપક બાધા ઉભી થઈ હતી.