પાકિસ્તાનના આતંકનો જવાબ આપવા પહેલાં ભારતે વિશ્વમાં
મિત્ર દેશોનો સંપર્ક કરીને વિશ્વાસમાં લીધા છે. યુનાઈટેડ નેશન્સની સલામતી સમિતિમાં
પણ આ વિષય આવે એવી શક્યતા છે. તંગદિલી ઓછી થાય અને યુદ્ધ વિસ્તરે નહીં તેની ચિંતા વ્યક્ત
થઈ રહી છે, ત્યારે અમેરિકાના વાઈસ
પ્રેસિડેન્ટ જે.ડી. વાન્સે ભારતને અનુરોધ કર્યો છે કે, પ્રાદેશિક
લડાઈ વધુ વિસ્તરે નહીં. આ સાથે એમણે એવી આશા પણ વ્યક્ત કરી છે કે, પાકિસ્તાને પણ હુમલાની તપાસમાં ભારતને સહકાર આપવો જોઈએ. `અમે જાણીએ છીએ કે, આતંકવાદીઓ પાકિસ્તાનની
અંદરથી કામ કરે છે, પણ આ માટે સીધેસીધી સરકાર જવાબદાર છે કે નહીં
તેની તપાસ ચાલી રહી છે.' પણ પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે. એ
બાબતે કોઈને શંકા છે ખરી? ઈસ્લામના નામે આતંકવાદી હુમલાનો વિરોધ
અન્ય આરબ-ઈસ્લામી દેશોએ પણ કર્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાનના સંરક્ષણ-સિનિયર પ્રધાને
કબૂલ કર્યું કે, દાયકાઓથી અમે આતંકવાદી છીએ. હવે પાકિસ્તાન પીપલ્સ
પાર્ટીના વડા-બિલાવલ ભુટ્ટો- ઝરદારીએ પણ કબૂલ કર્યું છે કે, પાકિસ્તાનનો
ભૂતકાળ આતંકવાદીઓ સાથે સંકળાયેલો છે. પાકિસ્તાન સમર્થન આપે છે અને આતંકવાદીઓને નાણાં-તથા
તાલીમ પણ આપે છે. હવે ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળને પણ કહ્યું છે કે, પાકિસ્તાને 1.3 બિલિયન
ડોલરની લોન માગી છે તે મંજૂર કરાય નહીં. નવમી મેના આ બાબતે નિર્ણય લેવા બેઠક મળનારી
છે. પાકિસ્તાની આતંકી હુમલા પછી ભારત સરકારે સેનાને સંપૂર્ણ છૂટ આપી છે - સમય અને વ્યૂહ
નક્કી કરીને પાકિસ્તાન ઉપર લશ્કરી કાર્યવાહી થશે. આવી કાર્યવાહી આગોતરી જાહેર કરી શકાય
નહીં. ભારત સરકારે પાકિસ્તાનને ઘેરી લેવાનાં પગલાં પણ જાહેર કર્યાં છે. સિંધુનાં પાણીનો
પુરવઠો કાપવામાં સમય લાગશે, પણ પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં
હાહાકાર વ્યાપી જશે - આ ભય પાકિસ્તાની શાસકોને છે, તેથી જ એમણે
કાગારોળ મચાવીને ધમકીઓ પાણીપુરવઠો રોકાશે, તો હિન્દુઓના લોહીની
નદીઓ વહેશે-આપી છે, પણ તેની પરવા કર્યા વિના આપણે રાજદ્વારી આક્રમક
તેવર બતાવ્યા છે. સમસ્ત દુનિયામાં પાકિસ્તાન ઉપર ફિટકાર વરસ્યા છે. હવે પાકિસ્તાની
ખેરખાંઓ હાથમાં શકોરાં લઈને ભીખ માગવા નીકળ્યા છે અને પાકિસ્તાનમાં આમજનતા સાથે સૈનિકો
પણ ધ્રુજી રહ્યા છે અને ભારતને છંછેડવા બદલ વિરોધ કરી રહ્યા છે. મુખ્ય શહેરોમાં ભયસૂચક
એલાર્મ ગાજી રહ્યા છે. હજુ ભારતે લશ્કરી હુમલો કર્યો નથી, ત્યાં
આ ઉત્પાત અને હાહાકાર મચ્યો છે, છતાં આપણા દેશમાં વિરોધ પક્ષ
- કોંગ્રેસને ઉતાવળ છે - મોદી સરકારને પૂછે છે કે, હજુ કેમ બદલાની
કાર્યવાહી શરૂ થઈ નથી? કોંગ્રેસ પક્ષની વર્કિંગ કમિટીની બેઠક
બોલાવવામાં આવી અને ઠરાવ પસાર થયો કે, કાશ્મીરમાં આતંકી હુમલામાં
26 જાન ગયા (હિન્દુ ઓળખ અપાઈ નથી)
તેના 10 દિવસ વીતી ગયા તો પણ `ભારત સરકાર નિક્રિય કેમ છે? એક રાષ્ટ્ર તરીકે આપણી સામૂહિક ઈચ્છા-માગણી છે કે, પાકિસ્તાનને
બરાબર પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે. આતંકવાદને કાયમ માટે ખતમ કરવાનો આ સમય છે. પાકિસ્તાને
સતત આતંકવાદીઓ ભારતમાં મોકલ્યા છે-હવે તેની કિંમત ચૂકવવી પડશે.' કારોબારીની બેઠક ફરીથી બોલાવવાની જરૂર કેમ પડી? હકીકતમાં
- ભાજપ સરકારે જાતિ આધારિત વસતી ગણતરી કરવાની જાહેરાત કરી. આ જાહેરાત અચાનક થઈ. વિપક્ષે
આ મુદ્દો ઉઠાવીને સરકારને ભીંસમાં લેવાની શરૂઆત કરી હતી અને સરકારે વિપક્ષના ફુગ્ગામાંથી
હવા કાઢી નાખી. આ સંજોગોમાં ડેમેજ કન્ટ્રોલ માટે કોંગ્રેસે બેઠક બોલાવી અને આતંકનો
બદલો લેવાનો મુદ્દો ઉપર રાખીને આગળ ધર્યો.