અમદાવાદ, તા.9 : ટીમ ઇન્ડિયાના
હેડ કોચ ગૌતમ ગંભીરે ત્રીજો ટી-20 વિશ્વ
કપ ખિતાબ પૂર્વ કોચ રાહુલ દ્રવિડ અને બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સિલેન્સ (સીઓઇ)ના વડા
વીવીએસ લક્ષ્મણને સમર્પિત કર્યો હતો. આ તકે ગંભીરે રાષ્ટ્રીય ટીમ તૈયાર કરવાની તેમની
ભૂમિકા સ્વીકારી હતી અને પ્રશંસા કરી હતી. રવિવારે રાત્રે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રને સજ્જડ હાર આપી ટીમ ઇન્ડિયા કિંગ ઇન્ડિયા બની હતી.
કોચ ગંભીરે આઇસીસી ચેરમેન જય શાહની પ્રશંસામાં કહ્યું તેમણે મુશ્કેલ સમયમાં સમર્થન
કર્યું. પત્રકાર પરિષદમાં કોચ ગંભીરે જણાવ્યું કે સૌથી પહેલા આ ટ્રોફી રાહુલ દ્રવિડ
અને વીવીએસ લક્ષ્મણને સમર્પિત કરવી છે કારણ કે દ્રવિડે ભારતીય ક્રિકેટની સારી હાલતમાં
પહોંચાડયું છે. હું આ માટે તેમને ધન્યવાદ આપું છું જ્યારે વીવીએસ લક્ષ્મણે કોઈપણ શરત
વિના ભારતીય ક્રિકેટ માટે એટલું બધું કર્યું અને તે પણ બંધ દરવાજાની અંદર, કારણ કે સીઓઇ ભારતીય ક્રિકેટનું પાઇપલાઇન છે. કોચ ગંભીરે મુખ્ય પસંદગીકાર અજીત
અગરકરની પણ પ્રશંસા કરી હતી. ગંભીરે કહ્યું તેને ઘણી ટીકાઓ સહન કરવી પડી પણ ઈમાનદારીથી
કામ કર્યું. તેમણે કેટલાક કઠિન ફેંસલા પણ લીધા. જેમાં રોહિતની આગેવાનીમાં ચેમ્પિયન્સ
ટ્રોફી જીતવા છતાં શુભમન ગિલને વન ડે કેપ્ટન્સી આપવાનો નિર્ણય સામેલ છે. સ્વદેશી અને
વિદેશી ટેસ્ટ શ્રેણીની હાર પર કોચ ગંભીરે જણાવ્યું કે આ માટે જય શાહનો આભારી છું. ન્યુઝીલેન્ડ
સામેની અને પછી આફ્રિકા સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણી હાર પછી ફકત જયભાઇએ જ મને ફોન કર્યો
હતો અને મારા પર ભરોસો મૂક્યો હતો.
હાઈ રિસ્ક હાઇ રિવોર્ડ : 160- 170નું ક્રિકેટ પસંદ નહીં
અમદાવાદ, તા. 9 : ટીમની
રણનીતિ વિશે કોચ ગંભીરે કહ્યું કે સફળતાની બધો યશ ખેલાડીઓને મળવો જોઇએ જ્યારે આપ હારનો
ડર રાખો તો ક્યારે પણ જીત મેળવી શકતા નથી. મારું હંમેશાં માનવું છે કે આ ફોર્મેટમાં
હાઇ રીસ્ક હાઇ રિવોર્ડ. જો અમે 110-120 રન
પર આઉટ થઈએ તો પણ હું ખુશ થાવ છું, પણ અમારું લક્ષ્ય હંમેશાં 2પ0 રન
કરવાનું હોય છે. અમે 160-170વાળું
ક્રિકેટ રમવા માંગતા નથી. અમે સાઉથ આફ્રિકા સામે 76 રને
હાર્યા હતા પણ અમારી સોચ બદલી ન હતી. કપ્તાન અને કોચ વચ્ચે તાલમેલ હોવાથી માઇન્ડસેટ
ક્લીયર હોય છે. હાઇ રીસ્ક હાઇ રીવોર્ડ માટે કેપ્ટને પણ ક્રેડિટ મળે છે.