નખત્રાણા, તા. 5 : ગત વર્ષે શ્રીકાર વરસાદે સીમાડાઓમાં
વિપુલ પ્રમાણમાં ઘાસ ઊગી નીકળ્યું હતું. જે છેક ફાગણ માસ સુધી ચાલ્યું હતું. પરંતુ
ચૈત્ર માસના થયેલા કમોસમી વરસાદ (માવઠાં)નાં કારણે આ ઘાસમાં ઊધઈના કારણે સડી ગયું છે, જેનાં કારણે ઘાસની તીવ્ર અછત સર્જાતા મૂંગા
પશુઓ હેરાન થઈ રહ્યા છે. સામાન્ય રીતે ઉનાળાના ગરમીના દિવસોમાં સીમાડાઓમાં ઘાસ ખતમ
થઈ જતું હોય છે, ત્યારે દાતાઓ દ્વારા ગાયો-પશુઓને ધર્માદા ઘાસ
નીરણ કરવામાં આવે છે. પરંતુ વર્તમાન ચાલતા અધિક માસમાં જરૂરી લીલો ચારો કોઈ પણ ભાવે
મળતો ન હોવાથી દાતાઓ પણ નિરાશ થયા છે, તો બીજી બાજુ ઘાસના અભાવે
પશુઓ હેરાન થઈ રહ્યા છે. મોટી વિરાણીના તરુણભાઈ રાજદે ગૌસેવા અર્થે દાતાઓનાં દાનથી
લીલો ચારો ખરીદી લખપત, અબડાસા, નખત્રાણા
સુધીની ગૌશાળાઓ તેમજ પશુપાલકોની ગાયો માટે મોકલાવે છે. પરંતુ છતે પૈસે લીલો-સૂકો ચારો
મળતો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. દરમ્યાન ભુજ-માંડવી તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ હાઈબ્રિડ
જુવારનું વાવેતર કર્યું હતું. પરંતુ નબળા બિયારણના કારણે પાક નિષ્ફળ જતાં દાઝ્યા પર
ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે.