ભુજ, તા. 9 : 1992ની
સાલમાં તામિલનાડુના કોઈમ્બતુર ખાતે જેની સ્થાપના કરવામાં આવી હતી એ ઈશા ફાઉન્ડેશને
કચ્છમાં વિશ્વકક્ષાનો આધ્યાત્મિક આશ્રમ સ્થાપવા માટે ગતિવિધિ આરંભી છે. ઈશા ફાઉન્ડેશનના
સ્વામી સદ્ગુરુજી અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ ભુજમાં રાજપરિવારના મહારાણી
પ્રીતિદેવી સાથે ખાસ બેઠક યોજી આ આશ્રમ માંડવી બીચ પર આવેલ વિજય વિલાસ પેલેસ સંકુલમાં
સ્થપાય તે માટેની દરખાસ્ત મૂકી એ અંગે ચર્ચા હાથ ધરી હતી. ઈશા ફાઉન્ડેશનના સ્વામી સદ્ગુરુજી
અને ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી હેલિકોપ્ટર મારફત ભુજ પહોંચ્યા હતા. બન્ને મોભીઓએ રણજિત
વિલાસ પેલેસ ખાતે રાજપરિવારના મહારાણી પ્રીતિદેવી સાથે એક કલાકથી વધુ સમય માટે બેઠક
યોજી હતી. બેઠક દરમ્યાન ઈશા ફાઉન્ડેશનનું
આ વિશ્વકક્ષાનું આધ્યાત્મિક આશ્રમ વિજય વિલાસ પેલેસ સંકુલમાં બને તે માટેની ચર્ચા-વિચારણા
કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. વિજય વિલાસ પેલેસની સાથે અન્ય
સ્થળને પણ આશ્રમની સ્થાપના હેતુ તારવવામાં આવ્યાં છે. રણજિત વિલાસ પેલેસ ખાતે આવેલા
ઈશા ફાઉન્ડેશનના સ્વામી સદ્ગુરુજી અને અદાણી સમૂહના મોભી ગૌતમભાઈ અદાણીને મહારાણી પ્રીતિદેવીએ
આવકાર આપ્યો હતો. બન્ને અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. રાજપરિવારના કુંવર
ઈન્દ્રજિતસિંહ જાડેજા, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ સન્માનમાં
જોડાયા હતા. આ બેઠકનું આયોજન મહારાણી પ્રીતિદેવીના સલાહકાર રવીન્દ્રભાઈ સંઘવીએ ગોઠવ્યું
હતું. મેનેજર વિપુલ દવે તેમાં સહયોગી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઈશા ફાઉન્ડેશન યોગ અને ધ્યાન દ્વારા ઈન્નર એન્જિનીયરિંગી, સંયમ અને ભવ સ્પનંદન જેવા યોગ કાર્યક્રમ દ્વારા આંતરિક પરિવર્તન લાવવાનું કાર્ય
કરે છે. ગ્રામીણ બાળકો માટે સંસ્તું, ગુણવત્તયુક્ત શિક્ષણ પૂરું પાડે છે. આ ફાઉન્ડેશનના વિશ્વભરનાં
300થી વધુ કેન્દ્રો અને સાત મિલિયન
સ્વયંસેવકો સાથે વૈશ્વિક સ્તરે કાર્યરત છે.