નવી દિલ્હી, તા.18 : છેલ્લા કેટલાક
સમયથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની ચાલતી ચર્ચા અને અટકળો વચ્ચે હવે કેન્દ્રીય
મંત્રી અને આરપીઆઈ(એ)ના પ્રમુખ રામદાસ આઠવલેએ કહ્યું છે કે, કેન્દ્રીય મંત્રીમંડળમાં બહુ જલ્દી ફેરબદલ થઈ
શકે છે. તેમણે સાથે એવું પણ કહ્યું હતું કે તેમાં ભાજપ અને સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ
પાર્ટી(એનસીપી)ના નવા ચહેરાઓને સરકારમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. ખાસ વાત
એ છે કે ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કેન્દ્રીય
મંત્રી દ્વારા આ સંકેત આપવામાં આવ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના
સાંસદો તરફ મિત્રતાનો હાથ લંબાવતા રિપબ્લિકન પાર્ટી અૉફ ઈન્ડિયા (એ)ના પ્રમુખ રામદાસ
આઠવલેએ વિપક્ષી પાર્ટીને વૈચારિક મતભેદો દૂર કરીને સત્તાધારી એનડીએ ગઠબંધનમાં જોડાવાની
અપીલ કરી હતી.