શનિવારે દેશના 80મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર સતત 13મી વખત રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યા બાદ વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ દેશને વિકસિત બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરતા નવા-નવા કાર્યક્રમોની
જાહેરાત કરી હતી. તેમણે આ લક્ષ્યને હાંસલ કરવા દેશની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયેગ કરવા
શક્તિની સપ્તધારાને આવરી લેતા નવી પેઢીના સુધારાની જાહેરાત કરી હતી. 2047 સુધી ભારતને વિકસિત બનાવવામાં
યુવાનોને લાભાર્થી નહીં પણ ભાગીદાર બનાવવાનો ઈરાદો તેમણે વ્યક્ત કર્યો હતો. દેશના વિકાસમાં
યુવાનોને વધુ ને વધુ સહભાગી કરવા તેમને સજ્જ કરવા પર વડાપ્રધાને તેમના સંબોધનમાં ખાસ
ભાર મૂક્યો હતો. તેમણે યુવાનોના સંદર્ભમાં સંખ્યાબંધ જાહેરાતો કરી હતી. એક કરોડ યુવાનોને
આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સ એટલે કે, એઆઈ માટે
સજ્જ કરવા તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઓનલાઈન મફત કોચિંગ વ્યવસ્થા ગોઠવવાની તેમણે
જાહેરાત કરી હતી. આ જાહેરાતોની શક્યતાઓ અમાપ જણાય છે, પણ તેને
સફળ બનાવવી એ એક મોટો પડકાર બની શકે છે. વડાપ્રધાને જે સપ્તધારાનો ઉલ્લેખ કર્યો તેમાં
ઔદ્યોગિક ઉત્પાદનની ક્ષમતા, કૃષિ અને ખાદ્ય ઉત્પાદન, ઈન્ફ્રા અને ઈનોવેશન, ગતિ શક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત
રક્ષાશક્તિ, ગ્રીન ઈકોનોમી અને સોફ્ટ પાવરને વિકાસની તાકાત તરીકે
આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સ્પષ્ટ છે કે, આ દૃષ્ટિકોણથી
અસમાન વિકાસની સમસ્યાનો ઉકેલ આવી શકશે. હવે આ તમામ શક્તિઓના સંકલિત અને સમાન ઉપયોગ
પર સરકાર ધ્યાન આપશે એવી અપેક્ષ વધી ગઈ છે. સામાન્ય પરંપરા મુજબ વડાપ્રધાનનું સ્વતંત્રતા
પર્વનું સંબોધન સરકારની ભાવિ નીતિની રૂપરેખા આપતું હોય છે, તેમાં
પણ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી આ સંબોધન માત્ર ઔપચારિક રહેવાને બદલે વ્યાપક અસર ઊભી
કરે તેવું બની રહે છે. તેમણે આ વખતે યુવાનોને મુખ્યધારાથી જોડી રાખવા અને સરકાર તેમના
માટે ચિંતિત હોવાની પ્રતીતિ કરાવતી એઆઈ અને સ્પર્ધાત્મક પરીક્ષાની જે જાહેરાત કરી તે
આ વર્ગને વિકાસમાં સહભાગી બનાવવાના ઉદ્દેશ સાથેની છે, પણ એક તરફ
એઆઈ આગામી સમયમાં નોકરીઓને અસર કરે તેવી આશંકા વચ્ચે એક કરોડ યુવાનોને તેની તાલીમ આપવાથી
રોજગારીની અન્ય તકો પર અવળી અસર પડી શકે એવી ભીતિ અત્યારથી વ્યક્ત થઈ રહી છે,
તેની સાથોસાથ દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગનો વ્યસાય ચોતરફ
ફેલાયેલો છે. ભારે ખર્ચાળ આ કોચિંગની સામે સરકારે પોતાના કાચિંગનાં માળખાંને વધુ અસરકારક
બનાવવાનો પડકાર રહેશે. વળી આ કોચિંગ ઓઁનલાઈન હશે એટલે તેને દેશના ખૂણે-ખૂણે સુધી પહોંચ
મળે એવા ડિજિટલ માળખાંની અનિવાર્યતા પણ એટલી જ રહેશે. વડાપ્રધાને તેમના સંબેધનમાં બૌદ્ધિક
નક્સલવાદીઓના વધી રહેલાં દૂષણ સામે લાલ બત્તી ધરી હતી. દેશમાં નક્સલવાદને પરાસ્ત કરાયા
છતાં આ બૌદ્ધિક શહેરી નક્સલવાદી માનસિકતાનો પડકાર ગંભીર હોવાની સ્પષ્ટ વાત તેમણે કરી
હતી. સ્વાભાવિક રીતે વિપક્ષી સભ્યોએ સીજેપીના સમર્થકોએ આ મુદ્દાને શનિવાર સાંજથી ઉછાળવો
શરૂ કરી દીધો છે. દેશના હિતમાં નકારાત્મક માનસિકતાને બૌદ્ધિક નક્સલાવાદ ગણાવવાના વડાપ્રધાનના
ઈરાદાની સામે સવાલ ઉઠાવવાને બદલે તેના સામના માટે દેશહિતમાં તમામ પક્ષો અને સંબંધિત
સૌએ એકતા બતાવવી રહી.