• રવિવાર, 07 જુલાઈ, 2024

ગુજરાતમાં 24,700 કાયમી શિક્ષકની ભરતી થશે

અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : શિક્ષકોની કાયમી ભરતીને લઈને આંદોલન કર્યા પછી આખરે ટેટ-1 અને ટાટ-2 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠકમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ  ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે. આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સંદર્ભમાં કહ્યું હતું કે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (એચમેટ પાસ ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે. તેમણે કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે. ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા. 01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (ટાટ સેકન્ડરી પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (ટાટ સેકન્ડરી પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવત: તા. 01/11/2024ના જાહેરાત કરાશે. ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવત: તા. 01/12/2024ના જાહેરાત થશે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં ટેટ-1માં વર્ષ 2012થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા ટેટ-2માં 2011થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે. ભરતી બાદ 2023માં ટેટ-1 અને ટેટ-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યૂ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો એનસીટીઈ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે. એટલું નહીં વર્ષ-2023 પહેલાં ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાંના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારના તા. 29-04-2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ-માધ્યમિક અને ટાટ-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરુચિ કસોટીના પરિણામને ધ્યાને લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 18 જૂનના ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો કાયમી ભરતી કરવાની માંગ સાથે એકઠા થયા હતા અને ભરતીની માગણી કરી હતી. રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang