• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ચેક પરતના કેસમાં માધાપરના આરોપીને એક વર્ષની કેદની સજા

ભુજ, તા. 18 : ચેક પરત ફરવાના કેસમાં માધાપરના આરોપી પ્રવીણસિંહ રણજિતસિંહ જાડેજાને કોર્ટે તક્સીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ફરિયાદી રૂકેશગિરિ જાદવગિરિ ગુંસાઇ (રહે. માધાપર) પાસેથી આરોપી પ્રવીણસિંહ રણજિતસિંહ જાડેજા (રહે. માધાપર)એ અંગત જરૂરિયાતના લીધે રૂા. પાંચ લાખ લીધા હતા. આ લેણા પેટેનો ચેક પરત ફરતાં ફરિયાદીએ કેસ દાખલ કર્યો હતો, જેમાં બીજા અધિક જ્યુ. મેજિ.એ આરોપી પ્રવીણસિંહને તક્સીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ રૂા. પાંચ લાખ વળતર તરીકે ફરિયાદીને 30 દિવસમાં ચૂકવી આપવા અને જો વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદીના વકીલ તરીકે વિવેકસિંહ આર. જાડેજા, ધૈર્ય વી. ઠક્કર, રણજિતસિંહ સોઢા હાજર રહ્યા હતા.

Panchang

dd