ભુજ, તા. 13 : ખેડૂત ખાતેદારોના બેન્કનાં
ખાતાંમાંથી તેમની જાણ અને સહમતિ વગર નાણાં તબદીલ કરીને 30.94 લાખ રૂપિયાની ઉચાપત કરવાના
તાલુકાના પદ્ધર ગામની સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના ચકચારી કેસમાં આરોપી બેન્ક કર્મચારી
મૂળ મહારાષ્ટ્રના હાલે પદ્ધર રહેતા અક્ષય રૂપરામ રીઠેને જિલ્લા અદાલત દ્વારા જામીન
અપાયા હતા. ગત વર્ષ 2025માં બેન્કનાં
નાણાંની ઉચાપતનો આ મામલો ઓડિટ દરમ્યાન બહાર આવ્યો હતો. આ પછી બેન્કના ઉચ્ચ અધિકારીઓ
દ્વારા પદ્ધર પોલીસ મથકમાં ફોજદારી દાખલ કરાવાઈ હતી,
જેમાં આરોપીની ધરપકડ કરાઈ હતી. દરમ્યાન આરોપી માટે મુકાયેલી નિયમિત જામીનની
અરજીની સુનાવણી જિલ્લા અદાલત સમક્ષ થઈ હતી. બેન્કના નાના કર્મચારી પાસે નાણાંકીય તબદીલી
કરી શકાય તે માટેના પાસવર્ડ ન હોવા, આવા પાસવર્ડ ઉચ્ચ અધિકારીઓ
પાસે હોવા તથા અન્યોની સંડોવણી નકારી શકાય તેમ ન હોવાની દલીલો અન્વયે કોર્ટે આરોપી
અક્ષય રીઠેની જામીન અરજી મંજૂર કરતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે
સંતોષસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય, રોહિત એમ. મહેશ્વરી અને ભૂમિ પી. પંડયા રહ્યા હતા.