દેશમાં સર્વત્ર `નીટ' પરીક્ષાનું
પેપર ફૂટી જવાનો મામલો સપાટી પર આવતાં જ કોંગ્રેસ પ્રણિત `ઇન્ડિયા' ગઠબંધને આ આખી વાતનો દોષનો ટોપલો કેન્દ્રની એનડીએ સરકાર પર ઢોળી દીધો
છે. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ તો આ પ્રકરણ સંસદમાં ઉપસ્થિત કરવાની વાત કરી છે.
જો કે, પેપર ફૂટવાનાં પ્રકરણમાં માસ્ટર માઈન્ડ તરીકે જે સિકંદર કુમારનું નામ બહાર આવ્યું
છે, તેના લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સાથે સંબંધ હોવાનું મીડિયાના અહેવાલ
પરથી સ્પષ્ટ થાય છે. સિકંદર વિશે જાણવા મળે છે કે, આ પહેલાં પણ તે પેપર ફૂટવાના અને
ભ્રષ્ટાચારના આરોપસર જેલ જઈ આવ્યો છે. રાહુલ ગાંધી આ પ્રશ્ને દેશવ્યાપી આંદોલન કરવાનું
પણ કહે છે. કોંગ્રેસને વિદ્યાર્થીઓનાં હિતોની કોઈ ચિંતા નથી, પોતાની રાજકીય રોટલી કેવી
રીતે શેકી શકાય, તેની જ કોંગ્રેસને ફિકર છે, એ આ બાબત પરથી સ્પષ્ટ થાય છે. દરમ્યાન
`નીટ' પેપર લીક મામલે સીબીઆઈએ તપાસનો દોર સંભાળી લીધો
છે. અનેક શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. વિપક્ષને નવી સંસદ અને સરકારની શરૂઆતના ગાળામાં
જ હથિયાર મળી ગયું છે, પરંતુ એ પક્ષે ભૂતકાળ અને પોતાની રાજ્ય સરકારના રેકોર્ડ ભૂલવા
ન જોઇએ. પેપર લીક ગુજરાતમાંયે અગાઉ?થયાં છે અને જવાબદારો સામે તપાસ-કાર્યવાહી કરવામાં
આવી છે. હવે કોંગ્રેસ અને પેપર ફૂટવાનો કેટલો નજીકનો સંબંધ છે એના પર નજર કરીએ. પેપર
ફૂટવાને લઈને જ રાજસ્થાનની તત્કાલીન કોંગ્રેસ સરકારે ડિસેમ્બરમાં યોજાનારી શિક્ષક પ્રવેશ
પરીક્ષા રદ કરી હતી. રાજસ્થાનમાં 2019થી દર વર્ષે સરેરાશ ત્રણ પેપર ફૂટયાં, જેનો ફટકો
લગભગ 40 લાખ વિદ્યાર્થીને પડયો છે. પેપર ફૂટવા પાછળના ખરા ગુનેગાર પકડવા પૂરતા પ્રયાસો
થયા નહોતા. રાજસ્થાનમાં આ મુદ્દો ગરમાયો હતો, એ પક્ષે વિસરવું ન જોઈએ. ગેહલોત સરકાર
એપ્રિલ 2022માં પેપર ફૂટવાનું રોકવા માટે એક વિશેષ કાયદો લાવી હતી. આમ છતાં આવી ઘટનાઓ
અટકી નહોતી. પેપર ફૂટી જવાથી પાછળથી શિક્ષકોનાં 46 હજાર પદ ભરવા માટે `રીટ 2011' લેવામાં આવી હતી. આ પરીક્ષામાં દસ લાખ ઉમેદવાર બેઠા હતા, પણ આખરે
આ પરીક્ષા રદ કરવામાં આવી. આમાં રાજસ્થાનમાંના વરિષ્ઠ સરકારી અધિકારી તેમજ કોંગ્રેસ
નેતાઓનો સહભાગ હોવાનો આક્ષેપ સતત થતો રહે છે, છતાં આ વિશે રાહુલ ગાંધીએ ક્યારેય અવાજ
ઉઠાવ્યો નથી. પેપર ફૂટવાને લઈ જે લાખો વિદ્યાર્થીઓને નુકસાન થયું તેના માટે ન્યાયયાત્રા
રાજસ્થાનમાં કાઢવામાં આવી હોવાનું સંભળાયું નથી. આજે પેપર ફૂટવાને લઈ કેન્દ્ર સરકાર
પર આક્ષેપ કરનારી કોંગ્રેસના કાળમાં આવાં પ્રકરણો વધુ બન્યાં છે. આ ઉપરાંત, તેમાંના
મોટા ભાગના આરોપીઓ જામીન પર ફરી રહ્યા છે. કોંગ્રેસનો `હાથ' તેમનાં માથાં પર હોવાને કારણે જ આ શક્ય બન્યું છે. મોદીનાં નેતૃત્વમાં
એનડીએ સરકાર સતત ત્રીજી વાર સત્તામાં આવી તે વિપક્ષોનું પેટમાં દુ:ખવાનું કારણ છે.
`િસસ્ટમ હમારી હોગી' સૂત્ર પર નાચી કેન્દ્ર સરકાર સમક્ષની
અડચણો વધારવાના પદ્ધતિસર પ્રયાસો થઈ રહ્યા છે. પેપર ફૂટવાના ગુનામાંના દોષિતોને પાંચથી
દસ વર્ષની સજા અને એક કરોડ રૂપિયા દંડની જોગવાઈ ધરાવતો કાયદો ઘડવામાં આવ્યો છે. સાથે
જ સંપૂર્ણ પરીક્ષા જ ઓનલાઈન લઈ શકાય કે નહીં એની સમીક્ષા થઈ રહી છે. ડિજિટલ ટેક્નોલોજીનો
ઉપયોગ કરીને, અત્યાધુનિક પ્રણાલીનો ઉપયોગ તે માટે કરવામાં આવશે. `નેશનલ ટેસ્ટિંગ એજન્સી' દ્વારા લેવામાં આવનારી બધી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા
આ ખરડાની કક્ષામાં આવશે. કઠોરમાં કઠોર કાર્યવાહી અને ડિજિટલ સુરક્ષાને અપાયેલાં પ્રાધાન્યને
લઈ દેશભરમાં ફરી એક વેળા ગુણવત્તાને ન્યાય મળશે એ નક્કી.