ભુજ, તા. 22 : ભગવાન વાડીનાથ મહાદેવ મંદિર જાગીર (તરભ) કચ્છમાં
પ્રથમ કરોડોના ખર્ચે વાડીનાથ ગુરુકુળ સ્કૂલની સ્થાપના કરવા લાકડિયા ખાતે બેઠક મળી હતી,
જેમાં કચ્છભરના તમામ પાંખના રબારી સમાજના અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપરાંત
અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતભરના રબારી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કચ્છના ઘરાણા-લાકડિયા
હાઈવે પર કરોડોની કિંમતની રોડટચ જમીન અંગે કચ્છના તમામ રબારી પાંખના સમાજોના દીકરા-દીકરીઓ
શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે વાડીનાથ મહાદેવ મંદિર જાગીર (તરભ)ના મહંત જયરામગિરિ
મહારાજના પ્રમુખ પદે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. કચ્છભરના રબારી સમાજ ઉપરાંત
અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતભરના સામાજિક, શૈક્ષણિક, વિવિધ રાજકીય, ધાર્મિક ભૂવા
સહિત વાડીનાથ મહાદેવ જાગીરના સંતો રામગિરિ બાપુ, સમીરગિરિ બાપુ તેમજ વાડીનાથ મહાદેવ
મંદિર જાગીરના તમામ સેવકગણની વચ્ચે કરોડોની જમીન કચ્છના રબારી સમાજને વાડીનાથ ગુરુકુળ
સ્કૂલ માટે દાનમાં આપનારા લલુભાઈ રામજીભાઈ દેસાઈ તેમજ સ્વ. તેજાભાઈ રામજીભાઈ રબારીના
પુત્ર દર્શનભાઈ તેજાભાઈ રબારી હાજર રહ્યા હતા.
મોટી સંખ્યામાં રબારી સમાજના શિક્ષણપ્રેમીઓ તથા રાજકીય-સામાજિક અગ્રણીઓ, ભાઈઓ-બહેનો
હાજર રહ્યા હતા. ભૂવાઓ તેમજ કચ્છભરના રબારી સમાજના ભાઈઓ-બહેનો, કાર્યકર્તાઓ, સંધ્યાગિરિ
આશ્રમના વિપુલ શાત્રી, અખિલ કચ્છ રબારી સમાજના પ્રમુખ હિરાભાઈ રબારી (ટપ્પર) સહિતની
હાજરીમાં યોજાયેલી સભામાં વાડીનાથ જાગીરના મહંત જયરામગિરિ બાપુએ સૌને આ સંકુલ અંગે
માહિતી આપી હતી. વાડીનાથ મહાદેવ મંદિર જાગીર ટ્રસ્ટ (તરભ) કચ્છના રબારી સમાજની શૈક્ષણિક
સ્કૂલોમાં વર્ષોથી આર્થિક સહયોગ આપે છે, તેની વાત મહંતે જણાવી હતી. કચ્છમાં રબારી સમાજ
માટે વાડીનાથ સ્કૂલની સ્થાપનાનું બ્રહ્મલીન મહંત બળદેવગિરિ ગુરુ સૂરજગિરિ બાપુનું સપનું
હવે પૂરું થવા જઈ રહ્યું છે, તે બદલ જમીન (ભૂમિ)ના દાતા સહિત તમામ દાતાઓને આભારી હશે.
ઘરાણા-લાકડિયા હાઈવે ટચ 11 એકર જમીન પર મળેલી મોટી મિટિંગમાં હજારો શિક્ષણપ્રેમી ભાઈ-બહેનો
કચ્છભરમાંથી અને ગુજરાતમાંથી આવેલા તમામ માટે સુવિધા આપનારા દાતા શંભુભાઈ જગમાલભાઈ
રબારી (સણોસરા-ભુજ) રહ્યા હતા. સમાજના યુવાનો, કાર્યકરો, સ્વયંસેવકોએ દિવસો સુધી મહેનત
કરી હતી.