નવી દિલ્હી, તા.રર : હિન્દુત્વ શબ્દ પર ફરી એકવાર વાંધો ઉઠાવવામાં
આવ્યો છે, તેને કોઈ એક ધર્મ સાથે જોડીને બતાવવાનો પ્રયાસ કરાયો છે પરંતુ સુપ્રીમ કોર્ટે
આ વાંધો ધ્યાને લીધો નથી અને હિંદુત્વ શબ્દનાં સ્થાને ભારતીય સંવિધાનિત્વ શબ્દપ્રયોગ
કરવાની માગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે. 6પ વર્ષના એક ડોક્ટરે દાખલ કરેલી
જાહેર હિતની અરજીમાં હિંદુત્વને કટ્ટરવાદ સાથે જોડવાનો એક નવો પ્રયાસ હોવા તરીકે જોવામાં
આવે છે. જો કે, સુપ્રીમ કોર્ટે આવા પ્રયાસને ડામી દીધો છે. અરજદાર ડોક્ટરે દાવો કર્યો
હતો કે હિંદુત્વ શબ્દ ધર્મનિરપેક્ષ તાણાંવાણાં માટે હાનિકારક છે. હિંદુત્વ શબ્દ સામે
વાંધો ઉઠાવતા અરજદાર ડો.એસએન કુંદ્રાએ દાવો કર્યો હતો કે હિંદુત્વ શબ્દ એક વિશેષ ધર્મના
ધાર્મિક કટ્ટરપંથીઓ અને આપણા ધર્મનિરપેક્ષ બંધારણને એક ધાર્મિક બંધારણ (મનુસ્મૃતિ)માં
બદલવા તત્પર લોકો દ્વારા દુરુપયોગની સંભાવના ઉભી કરે છે. ભારતમાં હિંદુત્વની આડમાં
એક વિશેષ ધર્મના ધાર્મિક કટ્ટરપંથીઓ દ્વારા સમરૂપ બહુમત અને સાંસ્કૃતિક આધિપત્યને પ્રોત્સાહન
આપવાનો સતત પ્રયાસ કરાય છે. આવી દલીલ સામે સીજેઆઇ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું કે અમે
આવી અરજીઓ પર વિચાર નહીં કરીએ. આ સંપૂર્ણ રીતે પ્રક્રિયાનો દુરુપયોગ છે. શ્રીમાન, અમે
તેના પર વિચાર નહીં કરીએ.