ભચાઉ, તા. 22 : ભચાઉ
તાલુકામાં લો વોલ્ટેજ અને વીજ વિક્ષેપની સમસ્યાઓમાંથી છુટકારો મળી રહે તેવા હેતુ સાથે
અંજાર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ભચાઉ તાલુકામાં નવા 66 કે.વી. ગુરુકૃપા સબ સ્ટેશન
અને ત્રણ ફીડરનું ઉદ્ઘાટન કરાયું હતું. રાપરના
ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના અધ્યક્ષસ્થાને
તેમજ પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્માના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલ અંજાર
વર્તુળ કચેરીના વિશેષ મુખ્ય ઈજનેર એ.એસ. ચૌધરીની ઉપસ્થિતિમાં સબ સ્ટેશન અને ત્રણ ફિડરનું
ઉદ્ઘાટન કરાયું હતું. પ્રારંભમાં આ નવા સબ સ્ટેશનમાંથી કુલ ત્રણ ફિડર સતલુજ અર્બન,
નમસ્કાર જેજીવાય અને કારગરિયા એજી ફિડર ચાર્જ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા
ભાજપના મંત્રી વિકાસભાઈ રાજગોર, તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ ડી. છાંગા, એપીએમસીના
ચેરમેન વાઘુભા જાડેજા, ભચાઉ શહેર ભાજપના મહામંત્રી આઈ.જી. જાડેજા, તાલુકા પંચાયતના
સભ્ય શિવુભા જાડેજા, વોંધ ગામના સરપંચ રામજીભાઈ પટેલ, ગોપાલભાઈ માતા વગેરે અગ્રણીઓ
તથા ભચાઉના કાર્યપાલક ઈજનેર વી.પી. ગોહેલ, નાયબ ઇજનેર પી.યુ. તડવી, એમ.એન. ચૌધરી તેમજ
કિસાન સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.