કોલંબો, તા. 19 : ટી-20 વિશ્વ
કપની શ્રીલંકા ટીમના કેપ્ટન પદ પર અચાનક ફેરફાર કરાયો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે
આજે ટી-20 વિશ્વ કપના સંભવિત ખેલાડીઓની યાદી જાહેર કરી છે. જેમાં ચરિથ
અસલંકાને કેપ્ટન પદેથી અચાનક પાણીચું આપી દેવામાં આવ્યું છે. તેની કપ્તાનીમાં
શ્રીલંકા ટીમે 2પ મેચમાંથી 11 મેચમાં જીત મેળવી હતી. જ્યારે 12 મેચમાં
હાર મળી હતી અને બે મેચ ટાઇ રહી હતી. હવે ચરિથ અસલંકાના સ્થાને ઓલરાઉન્ડર દાસૂન
શનાકાને શ્રીલંકાની ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો
છે. તે ફરીવાર શ્રીલંકા ટીમનું સુકાન સંભાળશે. શ્રીલંકાના પસંદગીકાર પ્રમોદયા
વિક્રમસિંઘે કહ્યું છે કે, અસલંકાને ખરાબ બેટિંગ ફોર્મને લીધે કેપ્ટન પદેથી દૂર કરાયો છે. જ્યારે
શનાકા પાસે ત્રણ વર્લ્ડ કપ રમવાનો અનુભવ હોવાથી તેને કેપ્ટન પદ સોંપવાનો નિર્ણય
લેવામાં આવ્યો છે. ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરી-2026થી
થશે અને ભારત-શ્રીલંકા ધરતી પર રમાશે. શ્રીલંકા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ, ઝિમ્બાબ્વે અને ઓમાન સાથેના ગ્રુપમાં છે.