વિશ્વનાથ જોશી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 9 : કચ્છના છેવાડે સરહદી ગામડાઓમાં યુદ્ધના માહોલ વચ્ચે કચ્છમિત્રની ટીમે મુલાકાત લેતાં 80 વર્ષના વૃદ્ધજનોમાં પણ યુવાની જેવો જુસ્સો જોવા મળ્યો હતો અને 1965, 71ના યુદ્ધની વાતો સાથે હજુ પણ દેશને જરૂર પડી, તો શત્ર ઉપાડી લેવાની દેશભક્તિ સીમાવર્તી વિસ્તારોના લોકોમાં જોવા મળી હતી. કચ્છના સૌથી છેલ્લા રણ વિસ્તારાને અડીને આવેલા અને લાઇન ઓફ કન્ટ્રોલથી 28 કિ.મી. નજીકના મુધાન ગામની મુલાકાત કચ્છમિત્રએ લીધી હતી. યુદ્ધના માહોલ વચ્ચે ઓટલા પર ગામની પાદરે બેસેલા વયોવૃદ્ધ કરશનજી જાડેજાએ કહ્યું હતું કે, આ તો હજુ કંઇ નથી, 1965, 1971ના યુદ્ધ વખતે ગામડાઓમાં વીજળી ન હતી ચીમની (કાચની બોટલમાં કેરોસીન નાખી દીવેટ લાગવવી તે), કંડીલ વિગેરે હતાં તે પણ બંધ કરાવતા, હમણા બ્લેકઆઉટ (અંધારપટ) કરાય છે, પણ વાહનોની રફતાર ચાલુ છે, હું જંગલમાં રાત્રે ગાયો ચરાવવા જતો, ત્યારે ચા બનાવવા સામાન્ય અગ્નિ પ્રગટાવીએ કે ત્વરિત બંધ કરવાની સૂચના મળતી, હજુ પણ દેશ માટે મરી ફીટવાની તૈયારી 80 વર્ષના આ વૃદ્ધે બતાવી હતી. મુધાનમાં વર્ષો સુધી પગી તરીકે ફરજ બજાવનારા હમીરજી ખાનજી જાડેજાએ કહ્યું હતું કે, અગાઉ સીમા સુરક્ષા દળના થાણા ન હતાં. અહીં મુધાનમાં પોલીસ ચોકી હતી, જેના હજુ પણ રૂમ દેખાય છે. 1980માં સ્વ. એમ.આર. ડાભી અને 1983માં જી.બી. કડેલ પી.એસ.આઇ. હતા. 20 જણનો પોલીસ સ્ટાફ હતો, ચાર ઊંટ હતા અને મુધાનથી ભરેબારી, મુધાનથી લાખાસર ઊંટથી દિવસ-રાત્રિ સરહદ પર પેટ્રોલિંગ થતું, સામે લખપત થાણાથી ઊંટ લાખાસર આવતા. સામસામે ક્રોસિંગ સહીઓ થતી. 1971ના યુદ્ધ વખતે આ થાણું કાર્યરત હતું. બે વિમાન અહીંથી ગયાં હતાં, જેણે નાડાપા પાસે બોમ્બમારો કયો હતો. તે વખતે સ્વ. શિવજી રામજી જોશી (સવા મહારાજ) (આ લખનારાના પિતા) મુધાનમાં શિક્ષક હતા અને યુદ્ધના સમયે સરકાર દ્વારા મળેલી સૂચનાઓનું પાલન કરાતું. તે સમયમાં અનાજથી વધુ દૂધનો ઉપયોગ કરાતો. સ્વ. રાણાજી મુલાજી જાડેજા, સ્વ. વેલુભા ભીમજી સોઢા સરહદ પર ઊંટ પર જતા પગીનું કામ કરતા. હરામીનાળું 1975 જી-પિલર ફક્ત 28 કિ.મી. દૂર છે અને પાકિસ્તાન 56 કિ.મી. દૂર હોતાં સરહદના લોકોની જવાબદારી વધી જાય છે, તેવું કહેતાં શ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, `ખાનજીના ખાંડાના ખેલ' કચ્છમિત્રમાં કટાર આવતી તે ખાનજી બહારવટિયા અને હરભમજીએ અહીં મુધાનથી પાકિસ્તાન જવાની કોશિશ કરી હતી, પણ જમીન માર્ગે જવું અશક્ય છે. આ રસ્તા પર આવતું રણ `ખૂની રણ' કહેવાય છે. જે જાય છે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. રણ, પાણી, કાદવનું જજમેન્ટ જ નથી આવી શકતું, તેથી ખાનજી બહારવટિયાનું પણ રણમાં મૃત્યુ થયું હતું. બોર્ડર પેટ્રોલિંગ માટે મુધાન પોલીસ થાણું મહત્ત્વનું હતું, છતાં 1981-82માં થાણાને સિયોત ખાતે સ્થળાંતર કરાતાં હવે આ થાણું બંધ છે. પીએસઆઇ અને 20 જણનો સ્ટાફ પણ હવે નથી રહ્યો. મુધાન ગામમાં ઓટલા પર વડીલો સાથે વાત ચાલુ હતી અને ઉપર આસમાનમાં ગર....ગર...ર...ર...ર... વિમાન જેવા અવાજ સતત ચાલુ હોતાં પૂછતાં ખબર પડી કે, આ તો પવનચક્કીના રાત-દિવસ અવાજ ચાલુ હોય છે. પાકિસ્તાન સામે લડવા તો તૈયાર છીએ, પણ અહીં મીઠા (નમક)ની કંપનીઓ આવી ગામમાં ઝઘડા કરાવી ખોટા કેસ કબાલા કરી ગામનો સંપ તોડી વિભાજન કરાવી રહ્યાની વેદના પણ તેમણે વ્યક્ત કરી હતી. મુધાનથી સિયોત, અટડા, ગુનેરી જતા રસ્તામાં સિયોત-કટેશ્વર વચ્ચે મિની વાવાઝોડું આવતાં સામે ધૂળની ડમરીઓ અને ધૂંધળું વાતાવરણ થતાં કંઇ પણ દેખાતું ન હતું. અડધો કલાક વાહનને અટડા બસ સ્ટેશન પાસે રોકવાની ફરજ પડી હતી. ત્યારબાદ ગુનેરી ગામના બસ સ્ટેશને આવતાં અહીં ગામમાં લગ્ન પ્રસંગ હોતાં બધા અગ્રણીઓ `રેયાણ' (બેઠક)માં ગયા હતા. ગામના સિંગલ રસ્તા પરથી ધૂળની ડમરીઓ ઉડાડતી 6થી 7 મોંઘીદાટ ગાડીઓ આવી પહોંચી, સ્થાનિક લોકોને પૂછતાં આજે લગ્ન પ્રસંગ હોતાં `જાન' આવી છે. જો કે, રાત્રે `બ્લેકઆઉટ' થતાં લગ્ન પ્રસંગમાં પરિવારને ઘણી મુશ્કેલીઓ પડી હતી. પરંતુ દેશદાઝ એ જોવા મળી, લગ્ન મંડપમાં ટોર્ચને નીચે પ્રકાશ આપતી ગોઠવાઇ, ઉપર પ્રકાશ ન જાય તેની તકેદારી રખાઇ, ફટાકડા પણ ન ફોડાયા અને નિયમોનું પાલન કરાયું. ગામની પાદરે નેતુભા સરદારજી જાડેજા, જેતાજી માનસંગજી જાડેજા નામના યુવાનો મળ્યા. યુદ્ધનો માહોલ છે, જરૂર પડી તો શું કરશો ? તેવો પ્રશ્ન કરતાં આ યુવાનોએ દેશ માટે ફના થવાની તૈયારી દર્શાવી હતી. ગામનું બસ સ્ટેશન આમ તો સૂમસામ હતું. લગ્ન પ્રસંગ હોતાં મોટાભાગના લોકો આ પ્રસંગમાં સામેલ હતા. ગુનેરીથી ધીરે-ધીરે લખપતની મુલાકાતે નીકળતાં હવે સૂરજ ઢળી રહ્યો હતો. સાંજ પડી હતી. સુમસામ રસ્તો જી-પિલર 1975ના રસ્તાને મળતાં સુરક્ષા દળોના વાહન, અધિકારીઓની અવરજવરથી ધમધમતો રસ્તો જોવા મળ્યો. લખપત કિલ્લા પાસે પોલીસનો પહેરો જોવા મળ્યો અને ડર લાગે એવો આખા રસ્તામાં માહોલ જોવા મળ્યો. લખપત કિલ્લા પાસે ફરજ બજાવતા પોલીસે જણાવ્યું કે, અમારી ફરજ અહીં ચાલુ છે. અધિકારીઓ પણ નિરીક્ષણ કરી જાય છે. લખપત ગઢ પાસે જ હોટલ ધરાવતા હીરાગિરિ પરસોત્તમગિરિએ તો જોશ સાથે કહ્યું હતું કે, `અસાંકે ભંધૂક દ્યો' ને પોય ન્યાર્યો. પાકિસ્તાન વારા ભલે હલ્યા અચેં... !' (અમને બંદૂક આપો, પછી જુવો, ભલે પાકિસ્તાની આવે.) ગામના વાયદના અલીમામદ ખલીફા, પાંચુભા વિજરાજજી, બચુભા રાઠોડ વગેરે 1971 યુદ્ધમાં તો લખપતમાં કાંઇ ન હતું, પણ હવે ટેક્નોલોજી છે તેથી સતર્ક રહેવું પડે, પણ અમે તૈયાર છીએ તેવું એક સૂરમાં જણાવ્યું હતું. છેવાડાના લખપત તાલુકાના સરહદી ગામડાઓ એલર્ટ છે, તો બીજીબાજુ દયાપરમાં બ્લેકઆઉટ હોવા છતાં લવરમૂછિયાઓ બાઇક-વાહનોથી રાત્રે ફરતા હતા અને પૂર્વ બાજુની નદીમાંથી આખી રાત ટ્રેક્ટરો દ્વારા રેતી-ખનિજની હેરફેર ચાલુ હતી. આવા એલર્ટ સમયમાં પણ પોલીસ આવી પ્રવૃત્તિ પકડતી નથી ને બ્લેકઆઉટમાં આ વાહનોની સતત લાઇટ ક્યારેક જોખમ સર્જે છે. તો બીજીબાજુ 10/5 સુધી લગ્નગાળો છે અને પુષ્કળ લગ્ન વિધિઓ છે. રાત્રે બ્લેકઆઉટમાં લગ્ન પ્રસંગ કેમ કરવો તેવી દ્વિધામાં ઘણા પરિવારોએ બે મહિના પહેલાં રાત્રે નક્કી કરેલા લગ્ન પ્રસંગો હવે દિવસે ઊજવશે તેવું નક્કી કર્યું છે. બ્લેકઆઉટમાં પવનચક્કીની લાલ લાઇટો મોટાભાગે ચાલુ રહે છે. તાલુકાના લોકો આખી રાત જાગે છે. કારણ કે, કોટેશ્વર પાસે ડ્રોન એટેકના સમાચારથી સરહદી ગામડાઓમાં ચિંતા વધી હતી. - કોટેશ્વર મહાદેવનું મંદિર યાત્રિકો માટે બંધ : લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પ્રસિદ્ધ કોટેશ્વર મંદિર યાત્રિકો માટે બંધ કરાયું છે. નારાયણ સરોવરથી કોટેશ્વર વચ્ચે બેરેક ગોઠવી દેવામાં આવી છે. મંદિરના મહંત દિનેશગિરિજી મહારાજનો સંપર્ક કરતા તેમણે આ બાબતે સમર્થન આપ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, અગાઉનાં યુદ્ધમાં મંદિરને નિશાન બનાવ્યું હતું અને ગઈકાલે પણ નાપાક ડ્રોન તોડી પડાયું હતું.