નવી દિલ્હી, તા. 8 : રાષ્ટ્રીય
તપાસ એજન્સી એ દેશવ્યાપી અભિયાન ચલાવતા ઓનલાઇન કટ્ટરપંથ અને આતંકી ગતિવિધીના એક મોટા
નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. એજન્સીએ આ દરમિયાન 10 રાજ્ય અને દિલ્હી સહિત કુલ 20 જગ્યાએ એકસાથે દરોડા પાડયા હતા. આ કાર્યવાહીમાં એવા આતંકીઓ નિશાને
હતા, જેઓ સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મનાં
માધ્યમથી યુવાનોને કટ્ટરપંથી વિચારધારામાં જોડી રહ્યા હતા. એનઆઇએની પ્રારંભિક તપાસ
અનુસાર આરોપીઓ પ્રતિબંધિત આતંકી સંગઠનો આઇએસઆઇએસ અને અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની
વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. આરોપીઓ ભારતમાં હિંસક જેહાદના રસ્તે ઈસ્લામિક
સ્ટેટ અને ખિલાફત સ્થાપિત કરવાનું કાવતરું સાજિશ રચી રહ્યા હતા. આ ગતિવિધિના માધ્યમથી
યુવા પેઢીને આતંકવાદ તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. એનઆઇએ દરોડા દરમિયાન
મળેલા દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક
ઉપકરણો અને અન્ય પુરાવાના આધારે આગળની તપાસ કરી રહી છે.