શ્રીનગર, તા. 8 : કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા
દળોએ પાંચ દિવસથી જારી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે, ભારતીય સેનાએ લશ્કર-એ-તોયબાના ટોચના કમાન્ડર
જાકીર અહમદ ગનીને ઠાર માર્યો હતો. આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સેનાએ શનિવારની
સાંજે ચનાપોરા વિસ્તારમાં અભિયાન છેડયું હતું. આ ઓપરેશનના પાંચમા દિવસે બુધવારે ગનીનો
મૃતદેહ મળી આવ્યો હતો, હજુ એક આતંકવાદી લતીફ ભટ છુપાયો હોવાની
આશંકા છે. જાકીર ગની એ 14 આતંકવાદીની
યાદીમાં સામેલ હતો, જેનાં નામ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ જારી કર્યાં હતાં. જાકીર કુલગામના મતલહામાનો
રહેવાસી હતો. તેનું નામ પાકિસ્તાન સાથે જોડાયેલા અનેક આતંકવાદી હુમલાઓમાં આવ્યું હતું.
સુરક્ષા એજન્સીઓના રેકર્ડ મુજબ ગની 2024થી લશ્કર-એ -તોયબા સાથે જોડાયો હતો, લતીફ પણ વીતેલાં વર્ષે જોડાયો હતો.પહેલગામ હુમલા
બાદ જે યાદી જારી કરાઇ હતી, તે 14માંથી જાકીર ગની સહિત કુલ્લ નવ આતંકી ઠાર
મરાઇ ચૂકયા છે.