વોશિંગ્ટન, તા. 15 : ઇરાન-ઇઝરાયલ વચ્ચે ભારે તંગદિલી
વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારત-પાકિસ્તાન વચ્ચે સમજૂતીનો ફરી
એક વખત દાવો કરી જણાવ્યું કે, ઈરાન-ઈઝરાયલ
વચ્ચે પણ બહુ જલ્દી શાંતિ સ્થપાઈ જશે. આ પહેલાં ઈરાનની અમેરિકાના સૈન્ય મથકને નિશાન
બનાવવાની તૈયારીથી ભડકેલા ટ્રમ્પે ઈરાન પર ભીષણ હુમલાની ધમકી આપી હતી. ટ્રમ્પે `એક્સ'
પર જણાવ્યું કે, ઈરાન અને ઈઝરાયલે એક સોદો કરવો
જોઈએ અને તેઓ સોદો કરશે બરાબર એ જ રીતે જેમ મેં ભારત અને પાકિસ્તાન સાથે કર્યું હતું.
એ સાથે જ મારા પહેલા કાર્યકાળ દરમ્યાન સર્બિયા અને કોસોવોમાં ભારે તંગદિલી હતી અને આ સંઘર્ષ યુદ્ધમાં
બદલી શકે તેમ હતો, પરંતુ મેં તેને રોક્યો હતો. ઈઝરાયલ-ઈરાન વચ્ચે
પણ ટૂંક સમયમાં શાંતિ સ્થપાશે. અત્યારે અનેક ફોન-બેઠકો ચાલી રહ્યા છે. હું ઘણું બધું
કરું છું અને ક્યારેય કોઈ બાબતનો શ્રેય લેતો નથી. ઇઝરાયલ દ્વારા ઇરાન પર હવાઇ હુમલો
થયા બાદ ટ્રમ્પ સતત ઇરાનને સમજાવવા અને હથિયારો
નાખી દેવા મનાવી રહ્યા છે. ટ્રમ્પે અગાઉ ઇરાનને કહ્યું હતું કે, તમે પરમાણુ સમજૂતીમાં સમાધાન કરી લ્યો, નહીં તો માઠાં
પરિણામો ભોગવવા પડશે. ત્યારબાદ આજે ફરી ટ્રમ્પે ઇરાનને ધમકી આપી છે. ટ્રમ્પે પોતાનાં
પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ખામેનીના નેતૃત્વ હેઠળના ઇસ્લામિક રિપબ્લિકને સીધો સંદેશ
આપ્યો હતો કે, ઇરાન પર થયેલા હુમલામાં અમેરિકાનો કોઇ હસ્તક્ષેપ
નથી. જો તેઓએ અમારા પર કોઇ પણ રીતે હુમલો કરવાનો પ્રયાસ કર્યો, તો અમારી અમેરિકાની સેના પૂરી તાકાત સાથે ઇરાન પર હુમલો કરશે. અગાઉ ક્યારેય
જોયું ન હોય એવું આક્રમણ કરાશે. અમે આ લોહિયાળ યુદ્ધ રોકવા માટે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે
સમજૂતી કરાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.