ગાંધીધામ, તા. 15 : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં
રખડતા પશુઓના કારણે નાગરિકોને ભારે હાલાકી
વેઠવી પડી રહી છે. ત્યારે આ સમસ્યા અંતરજાળમાં પણ ઊભી થઈ છે. અંતરજાળના
વિવિધ વિસ્તારોમાં નંદીઓના ત્રાસ સામે સ્થાનિકો રીતસરના ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
મોમાય નગર સોસાયટીના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના ત્રાસથી બાળકો, વૃદ્ધો વિગેરે બહાર નીકળી શકતા નથી.
ભૂતકાળના સમયમાં ગ્રામજનોને હડફેટે લીધા હોવાના દાખલા પણ બન્યા છે. મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓની સમસ્યા ઉકેલવા મુદ્દે નક્કર કાર્યવાહી
કરવામાં આવતી નથી. અગાઉ સુધરાઈ દ્વારા શહેરના
વિસ્તારોમાં દેખાતી નંદીઓ સહિતના પશુઓને દૂર કરવા વિશેષ ટીમ દ્વારા કામગીરી કરવામાં
આવતી હતી. અબલત્ત થોડા જ દિવસોમાં આ કામગીરી
બંધ થઈ હતી. ગાંધીધામ સંકુલમાં રખડતા પશુઓના
કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી ગંભીર ઈજાગ્રસ્ત થયેલા લોકોએ આંખો પણ મીંચી લીધી હોવાના કિસ્સાઓ સમયાંતરે સપાટી ઉપર આવ્યા છે. મહાનગરપાલિકા
આવવાની સાથે લોકોની મુશ્કેલીઓ ઉકેલાશે તેવી આશા પ્રત્યેક નાગરિકોને બંધાઈ હતી. મનપા બન્યાના મહિનામાં પણ પ્રજાકીય સુરક્ષા અને પાયાની સવલતો મુદ્દે અરસકારક કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા.