ભુજ, તા. 15 : કચ્છમાં હજુ વરસાદના ધીમા ડગલે
મંડાણ થયા ત્યાં તો જિલ્લામાં ઠેર ઠેર વીજળીના ધાંધિયા સર્જાતાં લોકો ભેજયુક્ત બફારાથી
અકળાયા હતા. ગાંધીધામ, રાપર,
ભચાઉ સહિતના વિસ્તારમાં રાત્રે ખોવાયેલો વીજ પુરવઠો બીજા દિવસે બપોરે
માંડ પુન: સ્થાપિત થયો હતો. વીજતંત્રના જવાબદારોએ ઉડાઉ જવાબ આપ્યાના આક્ષેપ લોકોએ કર્યા
હતા. સામાન્ય વરસાદમાં જો આ સ્થિતિ હોય તો ભારે વરસાદમાં કેવી સ્થિતિ સર્જાશે તેવો
સવાલ લોકોએ ઉઠાવ્યો હતો. ભચાઉમાં મધરાત્રે વરસાદ ઝાપટું પડતાંની સાથે વીજળી વેરણ થતાં
ભચાઉની જનતા ગરમીથી પરેશાન થઇ હતી. પ્રારંભિક વરસાદે આ હાલ છે તો વરસાદ શરૂ થતાં શું
હાલત થશે તેવા પ્રશ્નો ઉઠયા હતા. દોઢ વાગ્યે ગયેલી લાઇટ ઠેઠ સવારે સાડા છ વાગ્યે આવી
હતી. કાર્યપાલક ઇજનેર શ્રી ચૌહાણે કહ્યું કે, 66 કે.વી.ના વાયર તૂટયો હતો. સમયાંતરે
ગેટકોમાં બ્લાસ્ટ થયો હતો.