ભુજ, તા. 15 : યુવાનોમાં સહનશક્તિ ઘટતાં આપઘાતના
બનાવો દિવસો દિવસ વધી રહ્યા છે. આજે સવારે બારોઈમાં 22 વર્ષીય યુવતી મીતાબેન રમેશભાઈ
સથવારાએ, જ્યારે ગઈકાલે માધાપરના નવાવાસમાં 21 વર્ષીય યુવતી મનીષાબેન રાજા ગરવાએ અને નખત્રાણામાં 46 વર્ષીય યુવાન ગોવિંદભાઈ પૂંજાભાઈ
સીજુએ ગળેફાંસા ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી, જ્યારે મુંદરાના સિરાચામાં રહેતો મૂળ છોટાઉદયપુરનો 26 વર્ષીય યુવાન લાલિયાભાઈ નાનજીભાઈ
રાઠવા ગઈકાલે નર્મદા કેનાલમાં નાહવા જતાં પાણીના પ્રવાહમાં તણાઈ જઈ પાણીમાં ડૂબવાથી
આકસ્મિક મોત નીપજ્યું હતું. મુંદરાના બારોઈમાં ગોયરસમા રોડ પરના ગાયત્રીનગરમાં રહેતી
યુવતી મીતાબેન સથવારાએ આજે સવારે કોઈ અગમ્ય કારણોસર પોતાનાં ઘરે દાદીમાના રૂમમાં ગળેફાંસો
ખાઈને આપઘાત કરી લીધાની વિગતો મુંદરા પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો
દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આવો જ અન્ય એક બનાવ ગઈકાલે સાંજે માધાપરના નવાવાસ ખાતે બન્યો હતો. 21 વર્ષીય યુવતી મનીષા રાજા ગરવાને
કોઈ બાબતે લાગી આવતાં ગળેટૂંપો ખાઈ લીધો હતો. પિતા રાજા વાલજી તેને સારવાર અર્થે ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે
અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી. વધુ એક આત્મહત્યાનો બનાવ ગઈકાલે નખત્રાણામાં
બન્યો હતો. આ અંગે નખત્રાણા પોલીસ મથકે જાહેર થયેલી વિગતો મુજબ નખત્રાણાના રામદેવનગરમાં
રહેતા 46 વર્ષીય યુવાન ગોવિંદભાઈ સીજુ
બે વર્ષ પહેલાં ટ્રક ઉપર તાડપત્રી બાંધતા હતા ત્યારે પગ લપસી જતાં પડી ગયા હતા. ભારથી
કમરમાં ઈજા પહોંચતાં આ કમરની પીડાથી ઉદાસ રહેતા હતા તથા કામધંધો કરી શકતા ન હતા. આથી
મનમાં લાગી આવતાં ગઈકાલે બપોરે તેણે પોતાનાં ઘરે સાડી વડે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો
હતો. નખત્રાણા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ છોટાઉદયપુરના
હાલે મુંદરાના સિરાચામાં વીકોંક્રિટ પ્લાન્ટમાં રહી કામ કરતા 26 વર્ષીય યુવાન લાલિયાભાઈ રાઠવા
ગઈકાલે સાંજે તેમના પ્લાન્ટની બાજુમાંથી પસાર થતી નર્મદાના કેનાલમાં નાહવા પડતાં પાણીના
પ્રવાહમાં તે તણાઈ જતાં પાણીમાં ડૂબવાથી તેમનું મૃત્યું થયાની વિગતો તેના મોટા ભાઈ
નરેશભાઈએ મુંદરા પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ
ધરી છે.