કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટતાં સાત મોત : ગૌરીકુંડ, તા. 15 : પર્વતીય રાજ્ય ઉત્તરાખંડમાં રવિવારે કમનસીબ સવાર ઊગી હતી. રુદ્રપ્રયાગ જિલ્લા પાસે ગૌરીકુંડમાં આજે સવારે 5 અને 20 મિનિટે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં એક બાળક સહિત તમામ સાત લોકોનાં મોત થઇ ગયાં હતાં. તમામ મૃતદેહો ખરાબ રીતે સળગી ગયા હતા એટલે ઓળખ કરવી શક્ય જ નહીં હોવાથી ડીએનએ પરીક્ષણ કરાવાશે. લોહિયાળ દુર્ઘટના બાદ હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવાઇ હતી. હેલિકોપ્ટર દુર્ઘટનાને ગંભીરતાથી લેતાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવનાર મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે, બનાવની સઘન તપાસ થશે અને દોષીઓ બચી નહીં શકે, કડક સજા કરાશે. હેલિકોપ્ટરે શ્રદ્ધાળુઓને લઇને કેદારનાથ મંદિરથી ગૌરીકુંડ જવા માટે ઉડાન ભરી હતી. પ્રારંભિક જાણકારી મુજબ ખરાબ મોસમનાં કારણે દુર્ઘટના સર્જાઇ હોવાનું જણાવાયું હતું. આર્યન એવિએશન નામે ખાનગી કંપનીનું હેલિકોપ્ટર આખેઆખું સળગી જઇને આગનો ગોળો બની ગયું હતું. હેલિકોપ્ટરમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રના બે-બે, ઉત્તરાખંડ અને ગુજરાતના એક-એક યાત્રી હતા. એ ઉપરાંત રાજસ્થાનના જયપુર નિવાસી પાઇલટ રાજવીરસિંહ ચૌહાણે પણ જીવ ખોયો હતો. મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક પ્રવાસીનું જીવન અમારા માટે સૌથી મહત્ત્વનું છે. એ જોતાં પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત નહીં થાય ત્યાં સુધી હેલિકોપ્ટર સેવા બંધ કરાઇ છે. પોતાના પશુઓ માટે ચારો કાપીને લઇ જવા પહોંચેલા સ્થાનિક પશુપાલકોએ હેલિકોપ્ટર દુર્ઘટના નજરોનજર જોઇને તરત અધિકારીઓને જાણ કરી હતી. એનડીઆરએફ, એસડીઆરએફ જવાનોની ટીમ ઘટના સ્થળે ધસી ગઇ હતી અને રાહત-બચાવ અભિયાન છેડતાં તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા. મુખ્યપ્રધાને કહ્યું હતું કે, હેલિકોપ્ટર સેવા સંચાલન માટે કડક નિયમો બનાવાશે, જેમાં હેલિકોપ્ટરની તાંત્રિક સ્થિતિની તપાસ તેમજ ઉડાનથી પહેલાં મોસમની સટિક જાણકારી મેળવવી ફરજિયાત કરાશે. બીજી મેના કેદારનાથ મંદિરના કપાટ ખૂલ્યા ત્યારથી અત્યાર સુધીમાં આજે આવી પાંચમી દુર્ઘટના બની હતી. દરમ્યાન નખત્રાણા બ્યૂરોના પ્રતિનિધિ છગનલાલ ઠક્કરના અહેવાલમાં કેદારનાથધામના ગોર પંડિત દીપકભાઇ શુક્લાને ટાંકીને જણાવાયું હતું કે, અચાનક મોસમ ખરાબ થવાના કારણે વાદળાંની આડશ આવી જતાં દિશાહિન બનેલ હેલિકોપ્ટર ગૌરીકુંડથી લગભગ પાંચ કિ.મી. ઉપર પગપાળા રસ્તામાં આવેલ માઇખર્ક નામના સ્થાને તૂટી સળગી ઊઠતાં તમામ યાત્રી તથા એક પાઈલટના કમકમાટીભર્યાં મોત થતાં કેદારનાથના યાત્રીઓમાં અરેરાટી ફેલાઇ હતી. દીપક શુક્લાએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર ચલાવતી કંપનીઓ માત્ર પોતાના સ્વાર્થ ખાતર યાત્રીઓનું કંઇ હિત જોતી નથી તે બાબતે પ્રશાસને ધ્યાન રાખવું જોઇએ. હેલિકોપ્ટરમાં શ્રદ્ધા રાજકુમાર જૈસવાલ (ઉ.વ. 35-મહારાષ્ટ્ર), કાશી (ઉ.વ. 2-મહારાષ્ટ્ર), રાજકુમાર સુરેશ જૈસવાલ (ઉ.વ. 41-ગુજરાત), વિક્રમ બી.કે.ટી.સી. (કેદારનાથ), વિનોદદેવી (ઉ.વ. 66-ઉત્તરપ્રદેશ), તુલસીસિંઘ (ઉ.વ. 19-ઉત્તરપ્રદેશ), સી.એ.પી. રાજવીરસિંઘ ચૌધરી પાઈલટ સહિત સાત જણનાં મોત થયાં હતાં. ગૌરીકુંડથી કેદારનાથ પગ રસ્તા પર પસાર થતા પદયાત્રીઓએ ઘટનાસ્થળે જઇ સળગતાં હેલિકોપ્ટરનું વીડિયો શૂટિંગ કર્યું હતું. - પૂણેમાં નદીનો પુલ તૂટયો : છ મૃત્યુ : પૂણે, તા. 1પ : મહારાષ્ટ્રનાં પૂણે જિલ્લામાં પિંપરી-ચિંચવાડ પોલીસ સ્ટેશન હેઠળ કુંડમાલા ગામ નજીક ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડયો છે. આ ઘટનામાં છ લોકોના મૃત્યુ થયા હતા અને પુલ તૂટી પડતા સંખ્યાબંધ લોકો પાણીના પ્રવાહમાં તણાયા હોવાનું કહેવામાં આવે છે. છેલ્લે મળતા અહેવાલો સુધીમાં 38 લોકોને બચાવી લેવાયા હતાં. જૂના પુલ ત્રણ મહિનાથી બંધ હતો પણ પાણીના પ્રવાહને જોવા અને સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે નદી પરનો લોખંડનો પુલ તૂટી પડયો હતો. આ ઘટના માવલ તાલુકાના કુંડમાલા વિસ્તાર નજીક બની હતી, જેના પગલે એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. આ પુલ ઉપર ઘણાં બધા પર્યટકો એકસાથે ચડયા ત્યારે જ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવે છે. આ પુલ બે-ત્રણ માસથી બંધ કરી દેવામાં આવ્યો હોવા છતાં લોકો ત્યાં આવતા હતા અને કોઈ બેદરકારીના હિસાબે આ અકસ્માત સર્જાયો છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. એક બચાવકર્મીએ કહ્યું હતું કે, બચાવ કામગીરી ચાલી રહી છે. કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ કદાચ 20-25 લોકો તૂટી પડેલા પુલના કાટમાળ હેઠળ ફસાયેલા હોઈ શકે છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમો અને ફાયર વિભાગ સહિત અન્ય વિશેષ એકમોના કર્મચારીઓ સ્થળ પર છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં પિકનિક કરવા માટે લોકોની ભીડ રહે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, માવલમાં પુલ તૂટી પડવાની ઘટના બની છે. મેં ડિવિઝનલ કમિશનર, તહસીલદાર અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. કેટલાક ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકો ફસાયેલા છે. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જેમ જેમ મને બધી વિગતો મળશે તેમ હું તમને જાણ કરીશ. વહીવટીતંત્ર લોકોને રાહત આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રાયણી નદી પર બનેલા પુલના બે ભાગ છે, એક સિમેન્ટનો ભાગ છે અને બીજો લોખંડનો ભાગ છે, જે તૂટી ગયો છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. - મથુરામાં ખડક પડતાં પાંચથી વધુ મકાન ધ્વસ્ત : ત્રણ મોત : મથુરા, તા. 15 : ઉત્તર પ્રદેશના મથુરામાં ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ખડક ધસી પડતાં તેના પર બનેલા પાંચથી વધુ મકાન ધડાકાભેર ધ્વસ્ત થયાં હતાં, જેમાં એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં, તો 12થી વધુ કાટમાળમાં દબાયા હતા. એસડીઆરએફની ટીમ અને જેસીબી દ્વારા રાહત-બચાવની કામગીરી હાથ ધરાઈ હતી, જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. એક મીડિયા હેવાલ મુજબ, મથુરાના ગાવિંદનગર વિસ્તારમાં માયા ટીલા શાહગંજ પાસે ખોદકામ દરમિયાન 5ાંચથી વધુ ઘર ધરાશાયી થયાં હતાં, તો ત્રણ જણનાં મોત થયાં હતાં. ઘરની અંદર ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. હાલમાં, બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવકાર્યમાં રોકાયેલી છે. ઘટનાની જાણ થતાં જિલ્લા અધિકારી સીપી સિંહ અને પોલીસવડા શ્લોક કુમાર સહિતનો કાફલો બનાવસ્થળે પહોંચ્યો હતો. કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરાઈ હતી.