• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

નર્મદા કેનાલનું વળતર છ માસમાં ચૂકવો

અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નર્મદા કેનાલનાં બાંધકામ માટે માર્ગમાં વચ્ચે આવતા આસપાસના ગામડાઓના સંખ્યાબંધ ખેડૂતો-ગ્રામજનોની જમીન સને 2011માં સંપાદન કરવા કબજો લઇ લીધાના 13-13 વર્ષનો સમય વીતવા છતાં સેંકડો ગ્રામજનોને આજદિન સુધી અંતિમ વળતર ચૂકવાયું નથી. જેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક મહત્ત્વના ચુકાદા મારફતે અરજદાર ખેડૂતોના કિસ્સામાં છ મહિનામાં વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્ય સરકારને ફરમાન કર્યું છે. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે કચ્છ, બનાસકાંઠા અને પાટણના સેંકડો ખેડૂતોને વર્ષો બાદ ન્યાય મળ્યો છે. આ ચુકાદાની સાથે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારનો ખુલાસો પણ માગ્યો હતો. હાઇકોર્ટના આકરા વલણને પગલે સરકારને આ મામલે ઇન્ટર્નલ ડિપાર્ટમેન્ટલ કમિટી રચવાની ફરજ પડી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવી હતી. હાઇકોર્ટે સરકારની ઇન્ટર્નલ  ડિપાર્ટમેન્ટલ કમિટીને દરેક ખેડૂતોના કેસને વ્યક્તિગત ધોરણે ચકાસવા અને કોઈપણ પ્રકારના વિલંબ વિના તેઓની જમીન સંપાદન થયેલી હોય તો વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવા હુકમ કર્યો હતો. આ માટે અરજદાર ખેડૂતોએ ત્રણ સપ્તાહમાં કમિટીના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવાની રહેશે. હાઇકોર્ટે જણાવ્યું કે, ખેડૂતોના વળતર અંગેના દાવાઓ મળ્યેથી કમિટીએ તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે અને અરજદાર ખેડૂતોને શક્ય એટલી ઝડપથી મહત્તમ છ મહિનામાં વળતર ચૂકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે. જો કમિટી કોઈપણ કારણસર વિલંબ દાખવશે અથવા પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો અરજદાર ખેડૂતો ફરીથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ કરી શકશે. રાજ્યના કચ્છ, બનાસકાંઠા અને જિલ્લાના સંખ્યાબંધ ગામના સેંકડો ખેડૂતો તરફથી હાઇકોર્ટ સમક્ષ કરેલી જુદી જુદી ઢગલાબંધ રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, નર્મદા કેનાલ બનાવવાના ભાગરૂપે સરકારના સત્તાવાળાઓએ અરજદાર ગ્રામજનોની જમીન 2010-11માં લઇ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang