નવીદિલ્હી, તા.9 : જમ્મુ-કાશ્મીરનાં કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ પ જવાને
શહાદત વહોરી છે. આ આતંકી કૃત્ય સામે આકરી પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય સંરક્ષણ સચિવ
ગિરિધર અરમાને કહ્યું છે કે, આ હુમલામાં બલિદાન આપનારા જવાનોનો બદલો લેવામાં આવશે અને
ભારત હુમલા પાછળની ખરાબ તાકાતોને હરાવશે. દરમ્યાન, હુમલાની તપાસમાં મદદ માટે એનઆઈએની
ટીમો પણ રવાના થઈ છે. કઠુઆ આતંકી હુમલામાં શહીદ થયેલા પ બહાદુર જવાનો માટે ઘેરું દુ:ખ
અને શોક પ્રગટ કરતાં તેમના પરિવારો પ્રત્યે તેમણે સંવેદના પણ દર્શાવી હતી. અરમાને કહ્યું
હતું કે, રાષ્ટ્ર માટે તેમની નિ:સ્વાર્થ સેવાને હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમનાં
બલિદાનનો બદલો લેવાશે અને આવી આતંકી તાકાતોને હરાવવામાં આવશે. કેન્દ્રીય રક્ષા મંત્રી
રાજનાથ સિંહે પણ શોકમગ્ન પરિવારો માટે સાંત્વના પાઠવતા કહ્યું હતું કે, આ કઠિન સમયમાં
રાષ્ટ્ર તેમની પડખે છે. આતંકવાદ વિરોધી અભિયાન જારી છે અને આ કાયરતાપૂર્ણ હુમલામાં
ઘાયલ થયેલા જવાનો પણ શીઘ્ર સ્વસ્થ થાય તેવી પ્રાર્થના છે. દરમિયાન આજે કઠુઆ હુમલાનાં
બીજા જ દિવસે નશનલ હાઈવે ઉપર સેલ્ફી પોઈન્ટ પાસે એક આઈઈડી બોમ્બ મળી આવતા દહેશત ફેલાઈ
ગઈ હતી. સુરક્ષાદળોએ આ બોમ્બને નિક્રિય કરી નાખ્યો હતો. આ ઉપરાંત જમ્મુ-શ્રીનગર નેશનલ
હાઈવે ઉપર બનેલા ટોલ પ્લાઝા પાસેથી પણ બે મોર્ટાર શેલ મળી આવ્યા હતાં. આમ કઠુઆ બાદ
વધુ હુમલા કરવાની ફિરાકમાં આતંકીઓ હતા એની પુષ્ટિ પણ મળી છે. - નેગી
પરિવાર પર આભ તૂટયું : બે મહિનામાં બીજો પુત્ર શહીદ : દહેરાદુન,
તા. 9 : જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના પર થયેલા આતંકી હુમલામાં ઉત્તરાખંડના પાંચ જવાન શહીદ
થયા છે. આ શહીદોમાં એક છે રાઈફલમેન આદર્શ નેગી, તેઓ ટિહરી જિલ્લાના કીર્તિનગરના થાતી
(ડાંગર) ગામના રહેવાસી છે. શહીદના આ પરિવાર પર આભ તૂટી પડયું છે. બે મહિના પૂર્વે જ
નેગીના કાકાના પુત્ર દેશહિત માટે લડતા શહીદ થયા હતા. તેઓ ભારતીય સેનામાં મેજર હતા.
નેગી પરિવાર અગાઉથી જ તેના દુ:ખમાં હતો ત્યાં બે મહિના બાદ ફરીથી તેમના પરિવારમાંથી
એક પુત્ર શહીદ થતાં પરિવાર પર જાણે દુ:ખનો
ડુંગર તૂટી પડયો હતો. શહીદના કાકા દલવિરસિંહે જણાવ્યું હતું કે, બે મહિના પૂર્વે
અમારા એક પુત્રે યુદ્ધમાં શહીદી વહોરી હતી. બે મહિના બાદ ફરીથી દુ:ખ આવી પડયું છે.
સરકારે આ આતંકીઓ પર કાર્યવાહી કરવી જોઈએ. કડક કાર્યવાહી કરવાથી ભવિષ્યમાં આતંકી ફરી
હુમલો કરી ન શકે. એક વખત સરકારે મોટો નિર્ણય લેવો જોઈએ.