• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

મેઘપર બોરીચીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 4.45 લાખની માલમતા તફડાવી

ગાંધીધામ, તા.10 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડા તથા સોના-ચાંદીનાં આભૂષણ સહિત કુલ  રૂા. 4.45  લાખની  માલમતા ચોરી ગયા હોવાનો બનાવ સપાટી ઉપર આવ્યો હતો. નેન્સી રેસીડેન્સી-3માં આવેલાં મકાન નં.8માં  ગત તા.7/4ના બપોરે બે વાગ્યાથી તા.8/4ના સાંજે છ વાગ્યા સુધીમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે ફ્રૂટ અને શાકભાજીનો છૂટક વેપાર કરતા નાનજીભાઈ  જીવરામભાઈ  દેવીપૂજકે  અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કેતસ્કરો  મકાનમાં રૂમની ઉપરનું સિમેન્ટનું પતરું  તોડીને અંદર પ્રવેશ્યા હતા. હરામખોરો આ સ્થળેથી રોકડા તથા માટીના બે ગલ્લામાંથી  રૂા.1,75 લાખ તેમજ સોનાનુ કડું, સોનાના ત્રણ ઓમ, સોનાની નખલી જોડી નંગ.3, સોનાની  પાંચ નથડી, ચાંદીના તોડા જોડી-3, ચાંદીનું કડું, ચાંદીની હાસડી, ચાંદીના પગમાં પહેરવાના સાત જોડી સડા, 10 ચાંદીની વીંટી, ચાંદીનું મંગલસુત્ર, ચાંદીના બે દોરા, ચાંદીના નાનાં  બાળકોના પાંચ કડાં સહિત કુલ રૂા.1,70,500નાં આભૂષણો લઈ ગયા હતા. મકાન માલિક પોતાનાં વતનમાં રાધનપુર ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા તે સમયે આ બનાવ બન્યો હોવાનુ પોલીસે ઉમેર્યુ હતું. ઘરફોડ ચોરીના આ બનાવમાં સામેલ આરોપીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી  વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd