ભુજ, તા. 21 : કચ્છમાં અસામાજિક તત્ત્વો પર
સકંજો કસવા તથા ચોરીના બનાવો, નશાની
પ્રવૃત્તિ સહિતની વધી રહેલી ગુનાખોરીને ડામવાના હેતુથી પોલીસે ભુજમાં રાતના 11 વાગ્યા પછી તમામ વ્યવસાયો બંધ
રાખવા આદેશ આપ્યો હતો. આ હુકમ અંગે બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ શ્રી મોરીનો સંપર્ક
સાધતાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં
મોડી રાત્રે બનતા ચોરી, નશાખોરી, હુમલાના
બનાવો તેમજ લુખ્ખા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવાના ઉદ્દેશથી ભુજ સહિતના વિસ્તારોમાં
રાત્રે 11 વાગ્યા બાદ ચાની દુકાનો સહિતના
તમામ વ્યવસાયોને બંધ કરવાનો આદેશ અપાયો છે. અત્રે એ નોંધનીય છે કે, ગુરુવારે ભુજના જ્યુબિલી મેદાન પર બનેલો જીવલેણ
હુમલાનો બનાવ શહેરભરમાં ચર્ચાસ્પદ રહ્યો હતો અને જાગૃત નાગરિકોએ માંગ કરી હતી કે,
મોડી રાત્રે સક્રિય થતા લુખ્ખા તત્ત્વો સામે કડક પગલાં લેવાય,
જે અનુસંધાને પોલીસે બંધનો આ આદેશ આપ્યો હતો.