• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

સૂરજબારી ટોલનાકા નજીક વૃદ્ધ ઉપર ટ્રેઈલર ફરી વળતાં મોત

ગાંધીધામ/ભુજ, તા.22 : ભચાઉ તાલુકાના સૂરજબારી ટોલનાકા નજીક સૂતેલા સલીમ ફકીર (ઉ.વ.60) ઉપર ટ્રેઈલર ફરી વળતાં વૃદ્ધનું મોત થયું હતું. બીજી બાજુ રાપરના ખાંડેકમાં અગાઉ ઝેરી દવા પી લેનાર જ્યોતિ ભીખા સોલંકી (ઉ.વ.17)નામની કિશોરીએ જીવ ખોયો હતો તથા આદિપુરમાં અગાઉ એસિડ પી લેનાર હસમુખ  વજુ પરમાર (ઉ.વ.31)એ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. જ્યારે ભુજ તાલુકાના ઉખડમોરા પાસે અજાણ્યા વાહને ડગાળાના 58 વર્ષીય પ્રૌઢ તશનજી રાયચંદજી ઠાકોરને કચડી નાખતાં તેમનું મોત નીપજ્યું હતું.  સૂરજબારી ટોલનાકા નજીક ગત તા. 21/10ના રાત્રે 3 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. વાંકાનેરના સલીમ ફકીર તથા બનાવના ફરિયાદી અશરફ કરીમ ફકીર રિક્ષા લઈને સૂરજબારી ટોલનાકા પાસે આવ્યા હતા જ્યાં સલીમભાઈ દિવ્યાંગ હોવાથી અહીં ભિક્ષાવૃત્તિ કરતા હતા. ફરિયાદી છુટક મજૂરી કરે છે. બનાવની રાત્રે આ બન્ને સૂરજબારી ટોલનાકા નજીક આરસીસીનું કામ ચાલુ હતું ત્યાં સૂતા હતા દરમ્યાન ટ્રેઈલર નંબર જીજે-36-વી-4922એ આ વૃદ્ધને હડફેટમાં લેતાં તેમનું બનાવ સ્થળે જ મોત થયું હતું. ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ખાંડેકમાં રહેનાર જ્યોતિ નામની કિશોરી ગત તા.13/10ના બોપરે પોતાના ઘરે હતી દરમ્યાન ભૂલથી ઝેરી દવા પી જતાં ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેણે સારવાર દરમ્યાન ગઈકાલે છેલ્લા શ્વાસ લીધા હતા. આદિપુરના કેસર નગરમાં પણ અપમૃત્યુનો એક બનાવ બન્યો હતો. અહીં મકાન નંબર-140માં રહેનાર હસમુખભાઈ પરમાર નામનો યુવાન પોતાના ઘરે હતો દરમ્યાન અગમ્ય કારણોસર તેણે એસિડ પી લેતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યા આસપાસ કનૈયાબે-ધાણેટી વચ્ચે ઉખડમોરા કલારત્ન ફેકટરી રોડ પર ડગાળાના 58 વર્ષીય પ્રૌઢ તશનજી રામચંદજી ઠાકોરને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં પગ તેમજ શરીરમાં ગંભીર ઈજાઓ થતાં 108 મારફત તેમના પુત્ર સુરેશભાઈએ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હોવાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang