• ગુરુવાર, 02 મે, 2024

કપાસના સોદા વચ્ચે માથાકૂટ બાદ સિરવાના વેપારીના મૃત્યુથી ચકચાર

ગઢશીશા, તા. 19 : માંડવી તાલુકાના દરશડી ગામે કપાસના વેપાર દરમિયાન વજનકાંટાને લઈ સર્જાયેલી બબાલ પછી થયેલી નાસભાગ બાદ સિરવાના હાસમ ઉમર સીરુ (.. 60) બેભાન થયા હતા અને હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. ગઢશીશા પોલીસે હાલતુરત અકસ્માત મોત અંગે નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની એફએસએલ તપાસ માટે જામનગર મોકલ્યો હતો. ત્યાંથી હેવાલ આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા થવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, હતભાગી હાસમભાઈ અન્ય વેપારીઓ સાથે દરશડી ખાતે કપાસનો સોદો કરવા ગયા હતા, જ્યાં થયેલી નાસભાગ બાદ તે બેભાન થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક ગઢશીશામાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે હાસમભાઈને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન, મમાયમોરાના અગ્રણી પુરુષોત્તમભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી દરશડીના ખેડૂતો  પાસેથી કપાસની ખરીદી કરતા સિરવાના વેપારીઓએ વજનકાંટામાં ગરેરીતિ કરી હોવાની ખેડૂતોને શંકા જતાં મામલે વેપારીઓ સાથે બાબલ થઈ હતી. જો કે, રાત સુધી મામલો શાંત થયો હતો. દરમિયાન મોડી રાત્રે હાસમભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેમાં તેમનું મોત થયુ હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang