પાકિસ્તાની આતંકીઓએ પહેલગામમાં કરેલા હિન્દુ પર્યટકોના હત્યાકાંડ
પછી કાશ્મીરની મુલાકાત લઈને વડાપ્રધાન મોદીએ ઘોષણા કરી છે કે, ઓપરેશન સિંદૂર પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકના
ભયનો અંત આવે છે. બાવીસમી એપ્રિલના આતંકી હુમલા પછી મોદીએ કાશ્મીરની મુલાકાતમાં કતરાથી
શ્રીનગરની વંદે ભારત ટ્રેનને લીલીઝંડી સાથે પાકિસ્તાનને લાલઆંખ બતાવી છે! કતરા ખાતે
જાહેરસભાને સંબોધતાં વડાપ્રધાને કહ્યું કે... `જમ્મુ-કાશ્મીરના વિકાસ અને પ્રગતિને વિશ્વના
કોઈ પણ દેશની સત્તા રોકી નહીં શકે. વિકાસની ગતિ ધીમી નહીં થાય - આજે પણ નહીં અને આવનારા
દિવસોમાં પણ નહીં - વિકાસ રોકવાના પ્રયાસ કરનારાએ પહેલાં મારી સામે આવવું પડશે' એવું અભયવચન જમ્મુ-કાશ્મીરને અને સ્પષ્ટ ચેતવણી
પાકિસ્તાનને આપી છે. પાકિસ્તાની આતંકી હુમલાનો આશય કાશ્મીરમાં વિકાસ અને ટૂરિઝમ - ખતમ
કરવાનો હતો. ઇન્સાનિયત અને કાશ્મીરીયત ઉપર પહેલગામમાં હુમલો થયો હતો, પણ ભારતે યોગ્ય જવાબ આપ્યો. આતંકીઓ ઉપર કયામત વરસી. હવે પાકિસ્તાન જ્યારે પણ
ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, તો તેને શરમજનક પરાજય યાદ આવશે
અને કાંપી ઊઠશે. પાકિસ્તાની સેના અને આતંકીઓએ ક્યારેય કલ્પના પણ કરી નહીં હોય કે ભારત
પાકિસ્તાનમાં ઘૂસીને આવી રીતે હુમલા કરશે. વર્ષોની મહેનતથી એમણે અડ્ડા બનાવ્યા હતા
તે ગણતરીના સમયમાં જ ખંડેર બની ગયા છે! ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાને જોડતા 272 કિમીના અંતરને જોડતી રેલવે
લાઇન ત્રણ દાયકા પછી પૂરી થાય છે. બારામુલ્લા અને કતરા વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસને
પણ લીલીઝંડી બતાવી છે. આ પ્રસંગે પહેલગામ આતંકી હુમલાને યાદ કરીને વડાપ્રધાને કહ્યું
કે, આતંકીઓને પીઠબળ આપનારાઓને પણ શરમજનક પરાજયનો
સંદેશ મળ્યો છે. પાકિસ્તાનનાં મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા તથા
ચર્ચ ઉપર હુમલા કરીને સામાજિક ભાગલા કરવાના કારસા નિષ્ફળ ગયા છે. કોમવાદી ઉશ્કેરણી
કરવામાં પણ ફાવ્યા નથી, પણ લોકોની એકતાએ સજ્જડ જવાબ આપ્યો છે.
પાકિસ્તાને આખરે કાશ્મીરમાં અસ્થિરતા જગાવીને અર્થતંત્ર - વિકાસ ખોરવી નાખવાના પ્રયાસ
કરી જોયા. ભારતના યુવા વર્ગ - વિશેષ કરીને જમ્મુ-કાશ્મીરના યુવાનોને એમણે આહ્વાન કર્યું
કે, ઓપરેશન સિંદૂરમાંથી પ્રેરણા મેળવો. આપણી સેનાની શક્તિ અને
મેઇડ ઇન ઇન્ડિયાનો પ્રભાવ જોઈને સંરક્ષણ ક્ષેત્રમાં નવા સંશોધન કરીને ભારતને વિશ્વમાં
સંરક્ષણ સાધન સામગ્રીની નિકાસમાં સફળ દેશ સાબિત કરો.કતરા-શ્રીનગર વંદે ભારત ટ્રેન કાશ્મીરના
વિકાસમાં સીમાચિહ્ન છે. ટેક્નોલોજીના ઉપયોગથી પ્રકૃતિના પડકાર સામે બાથ ભીડીને વિશ્વમાં
સૌથી ઊંચા ચિનાબ બ્રિજના માધ્યમથી રેલ લાઇન સ્થાપિત થતાં કાશ્મીર હવે બારેમાસ માટે
દેશના અન્ય ભાગો સાથે જોડાઇ ગયું છે. આ ઘટનાનું રાજકીય મહત્ત્વ પણ નોંધનીય છે. જમ્મુ-કાશ્મીરના
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાનના મોંફાટ વખાણ કર્યાં અને કાશ્મીરને દેશની મુખ્ય
ધારા સાથે જોડવામાં તેમણે કરેલી પહેલને બિરદાવી. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા
માટે કેન્દ્ર-રાજ્ય વચ્ચેનો એકરાગ મહત્ત્વનો છે. ઓમર પહેલગામ હત્યાકાંડ પછી કાશ્મીરમાં
ઠપ થઇ ગયેલા પ્રવાસનને બેઠું કરવા પ્રયત્નશીલ છે. કતરા-શ્રીનગર રેલવેનો પ્રારંભ આ દિશામાં
પરોક્ષ રીતે મદદરૂપ બનશે.