અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં
કોરોના હવે બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના નવા 185 કેસ નોંધાતાં કોરોનાના કુલ
કેસનો આંક 1,007 થયો છે અર્થાત છેલ્લા ત્રણ
દિવસમાં જ કોરોનાએ 1000નો આંક વટાવ્યો
છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કોરોનાના 1,007 પૈકી 980 સક્રિય કેસ
છે, જેમાંથી 32 કોરોનાના દર્દી હોસ્પિટલમાં
અને 948 કોરોનાના દર્દી હોમઆઇસોલેસન
હેઠળ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 27 કોરોનાના દર્દી આજે ડિસ્ચાર્જ
થવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં
કેરળ બાદ સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. કેરળમાં કુલ કેસ 1900થી વધુ છે. 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ
નોંધાયું નથી. જો કે, રાજ્યમાં કોરોનાના
વધતા સતત કેસોને લઈને આરોગ્ય વિભાગ સજાગ થઈ ગયો છે અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાને
લગતી સારવાર માટે તૈયારી કરી દેવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓ માટે
ખાંસી-છીક દરમિયાન મોં ઢાંકવું, જાહેર સ્થળોએ થૂકવું નહીં,
અવારનવાર સાબૂથી હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો
તેમજ કો-મોબીડ કન્ડિશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડભાળવાળી
જગ્યાએ જવાનું ટાળવું તેવાં સૂચનો પણ કર્યાં છે. દરમિયાન તબીબોનું કહેવું છે કે,
કોવિડ-19ના કેસમાં
સતત થઈ રહેલો વધારો ચિંતાનો વિષય જરૂર છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. દેશમાં ફેલાઈ રહેલો સબ-વેરિયેન્ટ ઓમિક્રોન સ્ટ્રેન
ફેમિલીનો જ છે, જેના લક્ષણ વધુ પડતા લોકોમાં હળવા, કેટલાક લોકોમાં એસિમ્ટોમેટિક અને સામાન્ય જનતા માટે ઘણી હદ સુધી નુકસાનકારક
નથી. જો કે, તમામ લોકોને બચાવના ઉપાયો પર ગંભીરતાથી ધ્યાન આપવાની
જરૂર છે.