• મંગળવાર, 10 જૂન, 2025

જો જો, ભુજ-દિલ્હીની ઉડાન પણ બંધ ન થાય

ભુજ, તા. 8 : પ્રવાસીઓની ઘટનું કારણ બતાવી કચ્છને જોડતી અનેક વિમાની અને ટ્રેનસેવા બંધ થયાના દાખલા છે, ત્યારે હાલ થોડા દિવસોથી ભુજ-દિલ્હી વચ્ચે ઉડાન ભરતી વિમાની સેવાના ભાડા 16થી 21 હજાર સુધી પહોંચતાં દેખીતી રીતે જ પ્રવાસીઓ આટલા મોંઘા ભાડાં ખર્ચવાનું ટાળે છે અને આથી આ ફ્લાઇટમાં ગણ્યા-ગાંઠયા મુસાફરો હોય છે, ત્યારે આ સેવા પણ બંધ ન થાય તે માટે ભાડાં ઘટાડવાની રજૂઆત સરકાર સમક્ષ થઇ છે, જેથી પૂરતા પ્રવાસી મળી રહે. 6500ના ભાડાંથી શરૂ થયેલી ભુજ-દિલ્હી વિમાની સેવાના ભાડાં ધીરે-ધીરે વધીને 8500થી 9000 થયા બાદ હાલમાં તો 16થી 21 હજાર સુધી પહોંચી ગયા છે. ખાનગી વિમાની સેવાઓ દ્વારા મનસૂફી પ્રમાણે ભાડાં આસમાને પહોંચ્યાનું અનેકવાર કચ્છના પ્રવાસીઓ જોઇ ચૂક્યા છે. વિવિધ રજૂઆતો છતાં આવા કિસ્સા વારંવાર બનતા હોવાનું સામે આવતું રહે છે. ભુજ-દિલ્હી વિમાની સેવાના ભાડાં ત્રણથી ચારગણા વધતાં પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાથી વધુનો ઘટાડો દેખાઇ રહ્યો છે. આ ધરખમ ભાડાં વધારાને લઇને પ્રવાસીઓ વૈકલ્પિક ફ્લાઇટ્સ તરીકે અમદાવાદ પર પસંદગી ઉતારે છે. અમદાવાદ પહોંચી ત્યાંથી દિલ્હીની ફ્લાઇટ પકડતા થયા છે, જેથી આ ફ્લાઇટના પ્રવાસીઓ ઘટયા હોવાનું ટૂર ઓપરેટર એસોસિયેશન ઓફ કચ્છે જણાવી હાલના ભાડાં પર પુનર્વિચાર કરી વાજબી અને સ્પર્ધાત્મક ભાડાં રાખવા રજૂઆતના પત્રમાં જણાવ્યું છે. આમ કરવાથી મુસાફરોની સંખ્યામાં વધારો થશે, તેવું ટાંકી સ્થાનિક એર ઇન્ડિયા ઓફિસ તથા હેડ ઓફિસને રજૂઆત કરી છે. ગ્લોબલ ઓફ કચ્છ ફેડરેશનના ચેરમેન અને ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.ના પ્રમુખ અનિલભાઇ ગોરે પણ આ ભાડાં ગેરવાજબી હોવાની લાગણી દર્શાવી હતી અને આ અંગે એર ઇન્ડિયાને વાજબી ભાડાં રાખવા રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd