નવીદિલ્હી, તા.8 : અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પનાં પ્રશાસન દ્વારા 2 એપ્રિલથી
તમામ દેશોમાંથી થતી આયાત ઉપર 10 ટકા આધારભૂત
(બેઝલાઈન) ટેરિફનું ભવિષ્ય હવે ભારત-અમેરિકાની વ્યાપાર સમજૂતીની શરૂઆતી રૂપરેખા નક્કી
કરવા માટેની વાટાઘાટમાં મુખ્ય કેન્દ્રબિંદુ બની ગયું છે. ભારત તરફથી અમેરિકી પક્ષ સમક્ષ
માગ કરી છે કે, 10 ટકા બેઝલાઈન (મૂળભતૂ) ટેરિફ હટાવવા ઉપરાંત 9 જુલાઈથી પ્રસ્તાવિત 16 ટકા વધારાનો ટેરિફ પણ લાગુ
ન કરવામાં આવે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે, જો આ ટેરિફ હટાવવામાં નહીં આવે તો ભારતને પણ અમેરિકાનાં સામાન ઉપર સમાન જવાબી
ટેરિફ લાગુ કરવા, જારી રાખવાનો અધિકાર રહેશે. તા.4 જૂનથી અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ બ્રેંડન
લિંનાં નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય મંડળ દિલ્હી પહોંચ્યું છે. બન્ને દેશ વચ્ચે ટેરિફ
મુદ્દે પાંચમીવાર સામસામે બેઠક મળી રહી છે. આ ટીમ 10 જૂન સુધી દિલ્હીમાં રહેવાની છે. આ ચર્ચા અંગે વાકેફ અધિકારીનાં
જણાવ્યા અનુસાર આદર્શ સ્થિતિ એ રહેશે કે વચગાળાની સમજૂતી થવા સાથે જ ભારતીય ચીજો ઉપર
10 ટકા બેઝલાઈન ટેરિફ અને 9 જુલાઈથી લાગુ થનાર 16 ટકા શુલ્કને એકસાથે જ સમાપ્ત
કરી નાખવામાં આવે. જો આવું કરવામાં નહીં આવે તો ભારત પાસે પણ અમેરિકાની ચીજો ઉપર કુલ
26 ટકા ટેરિફ જારી રાખવાનો અધિકાર
રહેશે. વાટાઘાટમાં જોડાયેલા એક અધિકારીનાં જણાવ્યા અનુસાર બન્ને દેશ સંપ્રભુ છે. અમેરિકા
સૌથી મોટું અર્થતંત્ર અને ભારત સૌથી ઝડપે વિકસતુ અર્થતંત્ર છે. તેથી કોઈપણ સમજૂતી અથવા
તો કરાર સંતુલિત, તર્કસંગત અને
બન્ને પક્ષને સ્વીકૃત હોવા જોઈએ. આ સાથે જ ભારતે અમેરિકી સામાન માટે ભારતીય બજાર વધુ
ખોલવાની તૈયારી પણ દેખાડી હોવાનું કહેવાય છે. આનાં માટે શરત માત્ર એટલી જ છે કે,
અમેરિકાએ પણ પરસ્પર એવી જ ઉદારતા દાખવવી પડશે. અમેરિકા સાથે બ્રિટનની સમજૂતીનાં અનુભવનો હવાલો
આપીને ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, તે એવું કોઈ મોડેલ નહીં
અપનાવે જેમાં ટેરિફ યથાવત રહે. બ્રિટનને અમેરિકા સાથે આર્થિક સમૃદ્ધિ કરારમાં કેટલીક
છૂટ મળી પણ 10 ટકા બેઝલાઈન
ટેરિફ હજી પણ લાગુ છે, જે ભારતને
નામંજૂર છે.