અંજાર, તા. 12 : જીવસૃષ્ટિ ઉપરાંત પ્રકૃતિ અને
પર્યાવરણને થતા અકલ્પનીય નુકસાનને ટાળવા માટે અંજાર તાલુકાના નાની નાગલપરમાં ગાયના
છાણમાંથી બનાવવામાં આવેલી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પ્રધાનમંત્રી સુધી પહોંચી છે.
આ અંગે નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્રના સંચાલક અને ગૌ સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના
સંયોજક મેઘજીભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે પરિવાર સાથે મળીને વર્ષોથી ગાયના છાણમાંથી
ધુપબત્તી, પૂજા થાળી તથા તોરણ તેમજ દીવડા ઉપરાંત મોબાઇલ
સ્ટેન્ડ, રેડિયેશન રોધક
મોબાઈલ ચિપ્સ અને સો-પીસ જેવી વિવિધ પ્રકારની અસંખ્ય વસ્તુઓ બનાવવામાં આવે છે. ગણેશ
ઉત્સવ નજીક છે અને તેની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ
ત્રણ ઇંચથી લઈને 16 ઇંચ સુધીની
41 હજાર મૂર્તિ બનાવાઈ છે. જેને
કચ્છ ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી છે. વડાપ્રધાનના વડોદરા પ્રવાસમાં
પણ એક સંસ્થાના યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગોબર ગણેશની મૂર્તિ ભેટમાં આપતા
આ વિષય ઉપર લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે. કેમ કે મુખ્ય ઘટક તરીકે દેશી ગાયના ગોબર
અને પ્રાકૃતિક વસ્તુઓથી બનેલી મૂર્તિઓને આકર્ષક રંગોથી રંગવામાં આવે છે. જેથી તહેવાર
પછી પણ સુંદર મૂર્તિઓ ઘરમાં રાખી શકાય છે. અથવા ઘરના આંગણે બગીચામાં તેનું વિસર્જન
કરી દેવાય તો તે એક પ્રકારનું ખાતર બની જાય છે. તળાવ કે સમુદ્રમાં વિસર્જન કરવાથી જળચર
જીવોનો ખોરાક બનવા ઉપરાંત એકદમ પાણી અને માટી સાથે ભળીને કોઈ પણ નુકસાન વગર પ્રકૃતિ
અને પર્યાવરણનો જ એક ભાગ બની જાય છે. પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવી રહી છે.
પંડાલમાં પાછળના ભાગે ગણપતિના મોટા ફોટા અને પૂજન તથા વિસર્જનમાં આવી નાનકડી અને પ્રાકૃતિક
મૂર્તિઓનું ચલણ વધ્યું હોવાનું ગતિવિધિના પ્રચાર સંયોજક રામજીભાઈ વેલાણીએ જણાવ્યું
હતું.