નવી દિલ્હી, તા. 12 : રાજધાનીમાં
બ્રિક્સ શિખર સંમેલન શરૂ થવાથી પહેલાં જ ભારતને મોટી કૂટનીતિક સફળતા મળી હતી. બ્રિક્સના
સભ્ય દેશોમાં સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવા પર સહમતી સધાઈ હતી. ઉપરાંત ઘોષણાપત્રમાં
2025ના પહેલગામના નાપાક આતંકી હુમલાની
આલોચના પણ કરાઈ હતી અને જણાવાયું હતું કે, ત્રાસવાદનાં દરેક કૃત્યની અમે ટીકા કરીએ છીએ. કોઈનો ધર્મ જોઈને હત્યા કરી શકાય
નહીં. ત્રાસવાદ વિરોધી વર્કિંગ ગ્રુપ અને તેના પાંચ પેટા જૂથનું સ્વાગત કરીએ છીએ. ઘોષણાપત્રમાં
સીમાપાર આતંકવાદ, ટેરર ફંડિંગ જેવા પડકારોના સામનાના સંકલ્પનો
પુનરોચ્ચાર કરાયો છે. બ્રિક્સ દેશોએ ઘર્ષણો
રાખવા ડાયલોગ અને ડિપ્લોમસીના ભારતના અભિગમને અનુમોદન આપ્યું હતું. બ્રિક્સ દેશોએ અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધા નિશાન બનાવતાં એકતરફી ટેરિફ અને વ્યાપાર પર નિયંત્રણો
જેવાં પગલાંની આકરી ટીકા કરી હતી અને યોગ્ય વૈશ્વિક વ્યાપારના નિયમોની માંગ કરી હતી,
તો શિક્ષણમાં એ.આઈ.ના ઉપયોગ માટે શ્રેષ્ઠ બાબતો શેર કરવા પણ સંમતિ સધાઈ
હતી. આ મહત્ત્વપૂર્ણ સમજૂતી સુધી પહોંચવા માટે `િબ્રક્સ'
દેશો વચ્ચે મોડી રાત સુધી લાંબી અને ગહન ચર્ચા-વિચારણાનો વ્યાયામ ચાલ્યો
હતો. આ ચર્ચા સવારે ચાર વાગ્યા સુધી ચાલી હતી. યુએઈ અને તેહરાન વચ્ચે તીવ્ર મતભેદોને
લીધે લાંબા મંથન બાદ ઘોષણાપત્રમાં મધ્ય-પૂર્વના ઘર્ષણમાં અમેરિકાનો સીધો ઉલ્લેખ રાખવામાં
આવ્યો હતો. આ સમજૂતી એવા સમયે સધાઈ છે, જ્યારે બ્રિક્સના સભ્ય
દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સ્તરના અનેક મુદ્દાઓ પર અલગ-અલગ અભિપ્રાય સામે
આવ્યા છે. બ્રિક્સની અંદર રશિયા-યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયા
સંઘર્ષ, વૈશ્વિક સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ છે. આ મુદ્દા પર સભ્ય
દેશોના વિચારો એક જેવા નથી. વાતચીતમાં આ મુદ્દાઓ પર મતભેદ સામે આવ્યા હતા. ભારતે `અધ્યક્ષ દેશ' તરીકે અલગ - અલગ પક્ષો વચ્ચે વાતચીત જારી રાખી અને સહિયારી સહમતી સાધવાનો સફળ
પ્રયાસ કર્યો હતો. કોઈ મુદ્દા પર મતભેદના કારણે બ્રિક્સ સમૂહની આખી પ્રક્રિયો અસર ન
થાય, તેવા હેતુ સાથે ભારતે આ સહમતી સધાવી છે.આ વખતે બ્રિક્સમાં
પશ્ચિમ એશિયાના ત્રણ મહત્ત્વના દેશ ઈરાન, સાઉદી અરેબિયા,
યુએઈ પણ સામેલ છે. આજે જારી કરવામાં આવેલા વિસ્તૃત ઘોષણાપત્રમાં વૈશ્વિક
શાસન, પશ્ચિમ એશિયા, વેપારી, નવીનીકરણીય ઊર્જા સહયોગ, ટેક્નોલોજી, નાણાકીય સહયોગ, આતંકવાદ અને મહિલાઓની ભાગીદારી સહિતના
મુદ્દાઓ ઉપર સામૂહિક વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બ્રિક્સ દેશોએ કહ્યું છે કે,
આંતરરાષ્ટ્રીય ફેંસલાઓમાં ગ્લોબલ સાઉથના અવાજને વધુ મહત્ત્વ મળવું જોઈએ.
અમેરિકા અને ઈરાનનાં યુદ્ધના હિસાબે પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તનાવ મુદ્દે આમાં કહેવામાં
આવ્યું હતું કે, તમામ પક્ષોને સંયમ દાખવવાની અપીલ કરવામાં આવે
છે. બ્રિક્સ દેશોએ કહ્યું છે કે, સ્થાયી શાંતિ અને સ્થિરતાનો
રસ્તો કેવળ સંવાદ અને કૂટનીતિથી જ નીકળી શકે છે.
ગાઝામાં યુદ્ધવિરામ જાળવી રાખવા, માનવીય સહાયતા અવરોધ
વિના પહોંચતી કરવા અને નાગરિકો ઉપર હુમલા રોકવાની માગણી આમાં કરવામાં આવી છે. બ્રિક્સે
પેલેસ્ટાઈનના નાગરિકોનાં બળજબરીથી વિસ્થાપનનો વિરોધ પણ કર્યો છે અને કહ્યું હતું કે,
આવા કોઈ ભૌગોલિક બદલાવ સ્વીકાર્ય નથી.