ભુજ, તા. 12 : મૃત્યુ પછી પણ કોઈનાં જીવનમાં
દૃષ્ટિનો પ્રકાશ પ્રગટાવી શકાય એવા માનવીય સંદેશ સાથે અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે.
જનરલ હોસ્પિટલ ભુજના નેત્રવિજ્ઞાન વિભાગ દ્વારા 41મા નેત્રદાન જનજાગૃતિ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી, જેમાં સાત વ્યક્તિનાં નેત્રદાન સાથે સંકલ્પ
પત્રો ભરાયા હતા. નેત્રદાન પખવાડિયાની ફળશ્રુતિ અંગે તબીબોએ કહ્યું કે, લોકોમાં નેત્રદાન પરત્વે જાગૃતિ આવી અને નેત્રદાનમાં પણ વધારો નોંધાયો છે.
સાત જેટલી વ્યક્તિઓએ નેત્રદાન કરી, નેત્રદાનની ગરિમા વધારી હતી.
એટલું જ નહીં અનેક લોકોએ નેત્રદાન માટે સંકલ્પપત્રો પણ ભર્યા છે. દાતાઓનો આભાર માનતાં
હોસ્પિટલના આંખ વિભાગના હેડ ડો. કવિતા શાહે નેત્રદાન માટે 97264 30783 ઉપર જી.કે. જનરલ હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ડો. લક્ષ્મી આહીર દ્વારા ગેઇમ્સ નર્સિંગ સ્ટાફ માટે
નેત્રદાન વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. માધાપર ખાતે આવેલા વિકલાંગ વિદ્યાવિહાર, ત્રિમંદિર-ભુજ ખાતે સમુદાય જાગૃતિ અને પહોંચ
કાર્યક્રમો તેમજ કે.કે. પટેલ હોસ્પિટલ, લેવા પટેલ હોસ્પિટલ અને
વૃદ્ધાશ્રમ ખાતે નેત્રદાન અંગે વિશેષ જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યા
હતા. સમાપન કાર્યક્રમેમાં તબીબી સ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા નાટિકા, નેત્રદાન સંકલ્પ,
ટી-શર્ટ ચિત્રકામ સ્પર્ધા તથા ઇનામ વિતરણ જેવી પ્રવૃત્તિ યોજાઈ હતી.