ભુજ, તા. 11 : સવર્ણ સમાજના વિવિધ પડતર પ્રશ્નોના
UGCના વિવાદિત નિયમો/કાળા કાયદાને
પરત ખેંચવા સહિતની વિવિધ માંગ પર તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ લાવવા સમસ્ત સવર્ણ સમાજ
દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સવર્ણ
સમાજ હંમેશાં દેશ અને રાજ્યના વિકાસમાં અગ્રેસર રહ્યો છે, પરંતુ વર્તમાન સમયમાં આ સમાજના યુવાનો અને પરિવાર
અનેક વિષમ પરિસ્થિતિઓ અને અન્યાયનો સામનો કરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે UGC દ્વારા લાગુ કરવામાં આવેલા
કેટલાક વિવાદિત નિયમોને કારણે સવર્ણ સમાજના તેજસ્વી અને લાયક વિદ્યાર્થીઓ તથા અંકશાસ્ત્રીઓ/શિક્ષકો
માટે અસમાનતા અને અન્યાયની સ્થિતિ ઊભી થઈ છે. આ નીતિઓ માત્ર ગુણવત્તા પર અસર નથી કરતી, પરંતુ યોગ્યતા ધરાવતા ઉમેદવારોને તકોથી વંચિત
રાખે છે. આથી શિક્ષણ ક્ષેત્રે સમાનતા અને પારદર્શિતા જાળવવા આ કાળો કાયદો તાત્કાલિક
ધોરણે પાછો ખેંચવામાં આવે. હાલમાં અમલી અનામત નીતિની વ્યાપક સમીક્ષા કરવી અત્યંત જરૂરી
બની ગઈ છે. જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગ સુધી જ લાભ પહોંચે તથા ગુણવત્તા
(Merit)ને યોગ્ય ન્યાય મળે તેવા હેતુથી
અનામત નીતિના માપદંડો અને તેની અસરકારકતા ચકાસવા માટે એક સમિતિ બનાવી યોગ્ય પુન: સમીક્ષા
કરવામાં આવે. બિન-અનામત વર્ગોના કલ્યાણ અને આર્થિક ઉત્થાન માટે રચાયેલા `િબન-અનામત આયોગ/નિગમ'માં લાંબા સમયથી ચેરમેન અને વાઈસ ચેરમેનની જગ્યાઓ
ખાલી પડી હોવાથી યોજનાઓનું અમલીકરણ યોગ્ય રીતે થઈ શકતું નથી. આ નિગમ સક્રિય રીતે કાર્યરત
થાય તે માટે નિગમમાં વહેલી તકે સક્ષમ ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક કરવામાં આવે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક અને સરકારી
નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા અનામતની
જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓ (જેમ કે મહાનગરપાલિકા, નગરપાલિકા,
જિલ્લા અને તાલુકા પંચાયત)ની ચૂંટણીઓમાં આ લાભ મળતો નથી. સવર્ણ સમાજને
રાજકીય રીતે પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં
પણ EWS અંતર્ગત 10 ટકા અનામત તાત્કાલિક અસરથી લાગુ કરવા સહિતની ન્યાયી અને વાજબી
માગણીઓ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય અને સકારાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ
છે, જો આ બાબતે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં નહીં
આવે, તો સવર્ણ સમાજને લોકશાહી અને બંધારણીય માર્ગે ગાંધાચિંધ્યા
આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી
શાસન અને વહીવટી તંત્રની રહેશે તેવી ચીમકી અપાઈ છે.