• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ગાંધીધામ સંકુલમાં ઇદે મિલાદની ઉત્સાહપૂર્વક ઉજવણી

ગાંધીધામ, તા. 26 : આ શહેર સંકુલમાં પવિત્ર ઇદે મિલાદુન્નબીના પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે બાગે મદિના કમિટીના ઉપક્રમે શહેરના મુખ્ય માર્ગો પર જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ, લોકો જોડાયા હતા તેમજ આદિપુરમાં પણ જુલૂસનું આયોજન કરાયું હતું. શહેરની મસ્જિદમાં ઝોહરની નમાજ બાદ નૂરી મસ્જિદ ખાતેથી જુલૂસનો પ્રારંભ કરાયો હતો. આ જુલૂસ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા, ચાવલા ચોક, જવાહર ચોક, ઝંડા ચોક, ગાંધી માર્કેટ, આત્મારામ સર્કલ થઇ મામલતદાર કચેરી પાછળનાં મેદાને પહોંચ્યું હતું. જુલૂસના સમાપન બાદ અહીં આ મેદાનમાં તકરીર યોજાઇ હતી. આ પ્રસંગે તુણાના ધર્મગુરુ સૈયદ શેરઅલી બાપુએ ઉપસ્થિત જનમેદનીને પવિત્ર વાણીમાં તકરીર આપી શાંતિ, ભાઇચારા અને સદ્ભાવનાનો સંદેશ આપ્યો હતો. આ જુલૂસમાં બાગે મદિના કમિટીના પ્રમુખ લતીફ કેવર, મૌલાના રફીક બાપુ, હાજી ગનીભાઇ માંજોઠી, ઇસ્માઇલ જંગિયા, હાજી શકુરભાઇ માંજોઠી, ઇસ્માઇલ માંજોઠી, સલીમ રાયમા, શબ્બીર કુરેશી, નઝીર રાયમા, શાહિદ રાયમા, અમીર મિયાં, રાજા માંજોઠી, શાહજહાં શેખ, ઇકબાલ મેમણ, સનાઉલ્લાહ શેખ, સુમાર હિંગોરજા, અબ્દુલ ચાવડા, ઉમરભાઇ સમા, અબ્દુલ સાયચા, હનીફ સોઢા, ઇકબાલ શેખ, લતીફ ખલીફા, કાદર હુશેન સમા સહિતના સમાજના અનેક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન કાયદો, વ્યવસ્થા જાળવવા, વાહન વ્યવહારનાં સુચારું સંચાલન માટે પોલીસ વિભાગ દ્વારા સરાહનીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કમિટીએ પોલીસનો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી.

ઇદ નિમિત્તે આદિપુરમાં મદિનાનગર ઇદગાહ મસ્જિદથી જુલૂસનું આયોજન કરાયું હતું, જે ટાગોર રોડ થઇ, 64 બજાર, 80 બજાર થઇ પરત મસ્જિદે પહોંચ્યું હતું. આ વેળાએ પોલીસની સરાહનીય કામગીરી બદલ પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો તેમજ સાંજે મસ્જિદમાં તકરીર અદા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન આદિપુર મુસ્લિમ સમાજના પ્રમુખ રમજાનભાઇ મોખા, ઇલિયાસ મીર, હાજી સલીમશાહ, ગુલામહુશેન બાપુ, હુશેન નોડે, કે. કે. અંસારી વગેરે જોડાયા હતા. આ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉત્સાહપૂર્વક ઇદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી.

Panchang

dd