નવી દિલ્હી, તા. 22 : `ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાને ભારતીય વાયુસેનાના ફાઇટર
જેટ્સને તોડી પાડવાનો દાવો કરીને જીતની ઉજવણી કરી હતી. જો કે, પાછળથી સામે આવેલા તથ્યો અને આંતરરાષ્ટ્રીય તપાસમાં પાકિસ્તાનનો આ દાવો સંપૂર્ણપણે
પોકળ સાબિત થયો છે. વાસ્તવમાં પાકિસ્તાની એર ડિફેન્સ અને ફાઇટર જેટ્સ જેને આકાશમાં
`રાફેલ'
માનીને નિશાન બનાવી રહ્યા હતા, તે મૂળ ફાઇટર પ્લેન
નહીં પરંતુ રડારને ગુમરાહ કરતી `િડકોય' (નકલી
ટાર્ગેટ) સિસ્ટમ હતી. ભારતીય વાયુસેનાના રાફેલ યુદ્ધ વિમાનોમાં એકસગાર્ડ નામની ખાસ
ઈઝરાયલી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, જે રાફેલના ઈલેક્ટ્રોનિક
રક્ષણ વ્યવસ્થાનો મુખ્ય ભાગ છે. આ એક અત્યંત હળવી (આશરે 30 કિલોગ્રામ) ટેકનોલોજી છે, જેને વિમાનની પાછળ 100 મીટર લાંબા વાયર (ફાઇબર-ઓપ્ટિક
કેબલ) દ્વારા જોડવામાં આવે છે. આકાશમાં ઉડાન દરમિયાન તે 500 વોટની ચારેય તરફ ફેલાતી જામિંગ ફ્રિક્વન્સી છોડે છે, જેનાથી દુશ્મનના રડાર પર તે અસલી રાફેલ વિમાન
જેવી જ છાપ ઊભી કરે છે. પરિણામે, દુશ્મનની રડાર-ગાઇડેડ મિસાઇલો
અસલી રાફેલને છોડીને આ સિસ્ટમ તરફ ફંટાઈ જાય છે અને મૂળ ફાઇટર પ્લેન સંપૂર્ણ સુરક્ષિત
રહે છે. પાકિસ્તાનના જે-10સી ફાઇટર્સમાં
લાગેલા કેએલજે-7એ એઇએસએ રડાર આ સિસ્ટમને ઓળખવામાં નિષ્ફળ
રહ્યા હતા. રડારે આ નકલી ટાર્ગેટને જ અસલી ભારતીય રાફેલ સમજીને લોક કરી દીધું હતું.
પાકિસ્તાને છોડેલી મોંઘી મિસાઇલો અસલી રાફેલને બદલે આ ડિકોય પર જઈને અથડાઈ અને નાશ
પામી હતી. પાકિસ્તાની એર ડિફેન્સે મિસાઈલ હિટ થતાં જ વિમાન તોડી પાડ્યાનો દાવો કરીને
ઉજવણી કરી, પરંતુ અસલી ભારતીય રાફેલ
પોતાનું મિશન પૂરું કરીને સુરક્ષિત રીતે પાછા ફરી ચૂક્યા હતા.