• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

બિદડા હત્યા કેસમાં આરોપી નિર્દોષ

ભુજ, તા. 17 : જાન્યુઆરી વર્ષ 2021ના બિદડાના હત્યા કેસમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં સફળ ન રહેતાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ગત તા.25/01/2021ના રમેશ શંકરભાઈ સંઘાર તેમજ કરશન કારા સંઘાર વચ્ચે ઝઘડો થયો હતો જેના મનદુ:ખમાં બીજા દિવસે કરશન આરોપી રમેશના વાડામાં ગયો હતો જ્યાં મજૂરો સાથે તકરાર કરી તે સમયે અરારોપીએ કરશનને ધોકા ફટકારતાં કરશનને સારવાર તળે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતાં તા.27/01/2021ના માંડવી પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ થતાં તેની અટક કરવામાં આવી હતી. ચાર્જશીટ રજુ થઈ ગયા બાદ આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષ આરોપી વિરૂદ્ધ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ જતાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આરોપી વતી વકીલ તરીકે એમ. એ. ખોજા, એસ.જી. માંજોઠી, કે. આઈ. સમા, વી.કે. સાંઘ, ડી.સી. ઠક્કર, ગૌતમ મહેશ્વરી, પી.એ.સમા, અભિજિત બુદ્ધભટ્ટી હાજર રહ્યા હતા.

મેડિક્લેમના વીમા અંગે દાખલારૂપ ચૂકાદો

ભુજના ધારાશાત્રી જીતેન્દ્ર ઝવેરીએ મેડીક્લેમ પોલીસી ધી ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ. પાસેથી લીધી હતી. પોલીસીના સમયગાળા દરમ્યાન હૃદયના વાલ્વમાં તકલીફ થતાં સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં ઓપરેશન કરરાવ્યું હતું. સારવાર પાછળ રૂા.53,5,068નો ખર્ચ થયો, ત્યારબાદ તરત જ વિમા કંપનીને જાણ કરતાં કંપનીએ પાર્ટ ક્લેઈમ તરીકે રૂા.4,51,600 હોસ્પિટલને ચૂકવી આપ્યા. બાકીની રકમ રૂા.1,86,806 કોઈ પણ જાતના કારણ વિના કપાત કર્યા હતા. જે અંગે ખુલાસો માંગતા વિમા કંપની તરફથી કોઈ જ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નહીં. આથી ફરિયાદીએ જિલ્લા ગ્રાહક તકરાર કમિશન સમક્ષ ફરિયાદ રજુ કરી હતી. ફરિયાદીના એડવોકેટની મૌખિક ભારપૂર્વકની રજૂઆત એવી હતી કે, ફરિયાદીની પોલીસીમાં ક્યુમ્યુલેટીવ બોનસ આપવામાં આવેલું છે જે પૈકી વણવપરાયેલા બોનસની રકમ રૂા.1,25,000 હોવાથી તેનો લાભ ફરિયરાદીને મળવો જ જોઈએ જે ન આપી સામાવાળાએ સેવામાં ખામી દર્શાવ્યાનું માનવામાં આવ્યું. બાદ જિલ્લા કમિશન પ્રમુખ એ.પી.કંસારા તથા સભ્ય પી.વાય.જોશી સમક્ષ પુરાવાઓ, દસ્તાવેજી આધારો અને ફરિયાદીના એડવોકેટની દલીલોને ધ્યાને લઈ બાકી રહેતી વણવપરાયેલી બોનસની રકમ રૂા.1.25 લાખ 9 ટકાના વ્યાજ તેમજ શારીરીક - માનસિક ત્રાસ અને ખર્ચના રૂા.5000 ચૂકવી આપવા ધી ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ. સામે હુકમ આપ્યો છે. ફરિયાદીના ધારાશાત્રી તરીકે રાજેશ પ્રેમજી ઠક્કર, વિક્રમ વાલજી ઠક્કર તથા હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતા.

ભુજ : વીજચોરી કેસમાં નિર્દોષ

ભુજ : 6.12 લાખની વિજળીની ગેરકાયદેસર રીતે ચોરી કરવાના આરોપ સાથેના સવા ત્રણ વર્ષ જુના કેસમાં ભુજના દાવડા સેન્ડવીચના સંચાલક પ્રતીક નરભેરામ દાવડાને નિર્દોષ ઠેરવતો ચુકાદો જિલ્લા અદાલત દ્વારા અપાયો હતો. સરકાર પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાના તારણ સાથે આ ચુકાદો અપાયો હતો ભુજમાં છઠ્ઠી બારી રીંગ રોડ ઉપર લારી ઉપર સેન્ડવીચ બનાવીને વ્યવસાય કરતા દાવડા સેન્ડવીચના સંચાલક પ્રતીકે વિદ્યુત થાંભલાથી ગેરકાયદે વાયર જોડીને જોડાણ મેળવવા સાથે વીજળીની ચોરી કર્યાનો કેસ આ કિસ્સામાં મે-2023માં નોંધાયો હતો. આ કેસમાં જિલ્લા અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળી વાદગ્રસ્ત રેંકડી અને જગ્યાનો કબજો પુરવાર કરી શકાયો ન હોવાનું અને સરકાર પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાના તારણ સાથે અદાલતે સંચાલક પ્રતીક દાવડાને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે સંતોષાસિંહ આર. રાઠોડ અને નિલેશ વી. જોશી રહ્યા હતા.

Panchang

dd