ગાંધીધામ, તા. 2 : નવસારીમાં કોલસાનું વેચાણ કરતા
અને કંડલા પોર્ટમાં પણ કામ કરતા વેપારી સાથે મુંબઈના બે શખ્સોએ કોલસા ખરીદ્યા બાદ પૈસા ન ચૂકવી માતબર રકમની છેતરપિંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો
છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે નવસારીમાં રહેતા નીરવ જયંતીભાઈ કાનાણીએ આરોપીઓ વિવેકાનંદ વિનોદકુમાર શ્રીવાસ્તવ, અમદાવાદના
દેવાંગ શાહ સામે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. છેતરપિંડીના આ બનાવને ગત ઓગસ્ટ-2025થી આજદિન સુધીના ગાળામાં અંજામ અપાયો હતો. આરોપીઓએ ગુનાહિત કાવતરું
રચીને વેપારીના પૈસા ઓળવી જવાયા હતા. આરોપી
વિવેકાનંદ શ્રીવાસ્તવે કંપની સાથે કોલસાનો વેપાર કરવા માટે વાત કરી હતી. સિકયુરિટી
તરીકે આરોપી દેવાંગ શાહે એફડી આપી હતી. એફડીની
કોપી પણ મોકલાવી હતી અને ભળતા ઈ-મેઈલ મોકલાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. ગત 12 ઓગસ્ટથી બે મહિના સુધી 33 અલગ-અલગ ટ્રકોમાં કોલસો ફરિયાદીએ
આરોપીઓને મૂકયો હતો,જેની કિંમત
1.47 કરોડ જેટલી થઈ હતી. અલગ-અલગ
સમયે આરોપીઓએ 57 લાખ ચૂકવ્યા હતા, પરંતુ
બાકી નીકળતા 90 લાખ ચૂકવ્યા ન હતા. આરોપીએ
જૂનાગઢનું સરનામાંવાળું આધારકાર્ડ આપ્યું હતું, ત્યાં તપાસ કરતાં કોઈ વ્યક્તિ રહેતી ન હોવાનું જણાવાયું હતું. નવસારી
એસબીઆઈમાં એફડી ઊપાડવા ગયા તો એફડી ફરિયાદીની બેન્ક સાથે લિયોન માર્ક થઈ ન હતી. આરોપીઓએ થોડા દિવસોમાં
ચૂકવણીની ખાતરી આપી હતી. બાદમાં બંને જણ ફોન
ઉપાડતા ન હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.