ભુજ, તા. 28 : સરહદી ગામ ખાવડામાં આજે સાંજે
પ્રચંડ ઘડાકો થતાં ફુવા-ભત્રીજો ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર તળે ખસેડાયા છે.
આ ધડાકાના અવાજથી આસપાસના લોકો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને ઘાયલોને બચાવવા મદદરૂપ
થયા હતા. દરમ્યાન બનાવના પગલે પોલીસ દોડધામમાં મુકાઈ હતી. ભંગાર વીણવાની લ્હાયમાં ગંભીર
બનાવ બન્યાનું હાલ પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ બનાવ અંગે સંબંધિત સૂત્રો પાસેથી
મેળવેલી વિગતો મુજબ આજે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ખાવડા-ભુજ ધોરીમાર્ગ પરના પ્રણવનગરના
કોલીવાસમાં મોટા અવાજ સાથે ધડાકો થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ વિસ્ફોટના
પગલે રામા શંભુ કોળી (ઉ.વ. 27) અને આઠ વર્ષનો
ભત્રીજો ભાવેશ અરવિંદ કોળી ઘાયલ થયા હતા. રામાને પગમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી, જ્યારે ભાવેશને પેટમાં ઈજા પહોંચી છે. બંનેને
ખાવડામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા છે. વિસ્ફોટના બનાવ અંગે
વિવિધ સૂત્રો પાસેથી મેળવેલી જાણકારી મુજબ થોડા દિવસ પૂર્વે ફાયરિંગ રેન્જમાંથી આ વણફૂટેલો
સેલ મળ્યો હતો, જેને બે-ત્રણ દિવસ સંતાડી દીધા બાદ ભંગારની લ્હાયમાં
આજે આ વણફૂટેલા સેલ પર હથોડાના ઘા મારતાં વિસ્ફોટ થયો હતો. અમારા ખાવડાના પ્રતિનિધિએ
આપેલી જાણકારી મુજબ આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને પૂછપરછ તથા પંચનામા
સહિતની કાર્યવાહી કરી હતી. ગામના સરપંચ અને અગ્રણીઓએ ઘાયલોને મદદરૂપ થવા દોડધામ કરી
હતી. આ બનાવ અંગે ખાવડાના ઈન્ચાર્જ પોલીસ અધિકારી શ્રી ચાવડાનો સંપર્ક કરતાં બનાવને
સમર્થન આપ્યું હતું, પરંતુ આ ધડાકો કઈ વસ્તુનો હતો તે જાણી શકાયું
નથી. આસપાસ જોતાં વણફૂટેલા સેલ કે અન્ય કોઈ અવશેષ હાલ મળ્યા નથી. અન્ય લોકોની પૂછતાછમાં
કંઈ વિગતો મળી નથી. ઘાયલ હતભાગીઓનાં નિવેદન પરથી વિગતો મળવાની સંભાવના તેમણે દર્શાવી
હતી. - દાયકા પૂર્વે
મોટા દિનારામાં વિસ્ફોટે ત્રણનો ભોગ લીધો'તો : વણફૂટેલા સેલ થકી અગાઉ અનેક જિંદગી મોતના ખપ્પરમાં
હોમાઈ ચૂકી છે. સરહદી વિસ્તારની જ વાત કરીએ, તો લગભગ એક દાયકા પૂર્વે 31-7-2015ના ભંગારમાં આવેલ વણફૂટેલા સેલના વિસ્ફોટમાં ત્રણ યુવક ભરખાયા
હતા. વણફૂટેલા સેલના આવી પ્રાણઘાતક ઘટનાઓ અંગે કચ્છમાં માર્ચ-2010માં કરાયેલી મોજણી મુજબ આ પ્રકારના
કિસ્સામાં 19 વર્ષમાં 27 માનવ જિંદગી હોમાઈ ગઈ હતી.
આવા બનાવો વધતાં લશ્કરી અધિકારીઓ અને પોલીસની કવાયત તથા સાવચેતીના પગલે હાલ બનાવ ઘટયા
છે, પરંતુ આજના સંભવિત વણફૂટેલા સેલના બનાવના પગલે
ફરી અધિકારીઓની તપાસનો દોર શરૂ થવાની શક્યતા સેવાઈ રહી છે.